![]()
– ભાજપ શાસિત બેન્કમાં ભરતી પરીક્ષા-પ્રક્રિયા માત્ર નાટક : અગાઉ થયેલા આક્ષેપોને મળ્યું સમર્થન
– ભલામણ અને લાગવગથી નોકરી મેળવનાર ઉમેદવારોના નામ જોગ યાદી જાહેર કરી યુવા વિદ્યાર્થી નેતાએ જિલ્લા રજિસ્ટ્રારને આવેદન પાઠવ્યું : તટસ્થ તપાસની કરી માંગ
ભાવનગર : ભાજપ શાસિત ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેન્કમાં સગાવાદથી ૧૪ કર્મચારીની નિમણૂક થઈ ગઈ હોવાનો સનસનીખેજ આક્ષેપ વિદ્યાર્થી નેતાએ આજે પત્રકાર પરિષદમાં કર્યો હતો. તેમણે ભલામણ અને લાગવગથી નોકરી મેળવનાર ઉમેદવારોના નામ જોગ યાદી ભાવનગર જિલ્લા રજિસ્ટ્રારને પાઠવેલા આવેદનપત્રમાં કરી બેન્કમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા માંગ કરી છે.
જિલ્લા રજિસ્ટ્રારને યુવા અધિકાર ન્યાય ચળવળના નેજા હેઠળ અપાયેલાં આવેદનમાં ગંભીર આક્ષેપ કરતાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેન્કમાં ઓળખાણ, પરિવારવાદ અને વગથી ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે. આ રજૂઆતમાં ૧૪ કર્મચારીના નામ અને બેન્કના હોદ્દેદારોમાં તેના કોણ સગા છે તેની ઓળખાણ સાથેની યાદી પણ આપવામાં આવી છે.જેમાં ભરતીમાં નિમણૂક પત્ર મેળવનાર બે ડાયરેક્ટરના દિકરા, બે જનરલ મેનેજરના ભત્રીજા, એક ડાયરેક્ટરના ભત્રીજાનો દિકરા,ડાયરેક્ટરના સાળાનો દિકરો, ડાયરેક્ટરની મંડળીના મંત્રીના દિકરા, જનરલ મેનેજર બનવા મદદ કરનાર માજી યુનિયન પ્રમુખના ભત્રીજા, ભાજપમાં મોટો હોદ્દો ધરાવતા રઘુ હુંબલના ભત્રીજા અને જિલ્લા પંચાયત માજી પ્રમુખનો દિકરો હોવાનો પત્રમાં ગંભીર અને પૂરાવા સાથેનો આક્ષેપ કરાયો છે. તમામને નિમણૂક પત્ર એનાયત કરી દેવાયા હોવાનું વિદ્યાર્થી નેતાએ પત્રના અંતે રજૂઆતમાં જણાવ્યું હતું. તેમણે આક્ષેપ કરતાં ઉમેર્યું કે,પ્રાથમિક પરીક્ષામાં અગણિત ધાંધલીઓ તો પહેલેથી જ હતી. અગાઉથી જેના નામ ફિક્સ હતા તેમને જ લેવામાં આવ્યા છે. ભરતી ગેરરીતિ અને નિયમો વિરૂદ્ધ તથા અપારદર્શિતા સાથે થયેલ છે. ભૂતકાળમાં પણ ૧૫થી ૨૦ પ્યુનની ભરતી ખોટી રીતે અને કોઈપણ પ્રક્રિયા વિના સત્તાધિશોના સગા-વહાલાને લઈને કરવામાં આવી હોવાનો તથા જૂન-૨૦૨૪માં કોઈપણ પ્રકારની ભરતી પ્રક્યિા વિના ડિસ્ટ્રીક્ટ બેન્કના સત્તાધિશોએ પોતાના લાગતા-વળગતાને નોકરી પર રાખ્યા હોવાનો પણ નેતા જાડેજાએ ગંભીર આક્ષેપ કર્યો હતો,. અને સાથે ઉમેર્યું કે,આ મામલે જાગૃત નાગરિક ભીખાભાઈ જાજડિયાની અરજી બાદ તેમને છૂટ્ટા કરાયા હતા.આ પણ અધુરૂં હોય તેમ ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેન્ક દ્વારા તરકટ રચી પોતાની માનિતી ઓમ એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો અને જેને દૂર કર્યા હતા તે પૈકી ૧૮ લોકોને આ ભરતીમાં ફરીથી નિમણૂક આપવામાં આવી હોવાનું પણ તેમણે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, બેન્કમાં થયેલી આ ભરતી પ્રક્રિયા શરૂઆતથી જ વિવાદમાં રહી હતી અને તેમાં ખેડૂત અગ્રણી ભીખાભાઈ જાજડિયાએ સગાવાદ અને વ્યવહારના ગંભીર આક્ષેપો કર્યા હતા. આ આક્ષેપો વચ્ચે પણ ભરતી અંગે લેખિત પરીક્ષા લેવાઈ હતી અને તેની સામે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સવાલ ઉઠાવ્યા હતા. આમ છતાં, ૧૪ ઉમેદવારને નિમણૂક પત્ર આપી દેવામાં આવ્યાનો આજે ઘટસ્ફોટ થયો હતો.
આક્ષેપો પાયાવિહોણાં,ભરતીની પ્રક્રિયા પારદર્શક રીતે થઈ છે : બેન્ક ચેરમેન
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ રજિસ્ટ્રારને આપેલાં આવેદનમાં ૧૪ મળતિયા ઉપરાંત, ભુતકાળમાં દૂર કરવામાં આવેલાં ૧૮ એવા ઉમેદવારોની નિમણૂકની યાદી જાહેર કરી છે ત્યારે, બેંકના ચેરમેન રસિક ભીંગરાડિયાએ નેતાના આઆક્ષેપોને ફગાવી દિધા હતા અને દાવા સાથે જણાવ્યું હતું કે, બેન્કમાં પારદર્શક પ્રક્રિયાથી ૮૦ તાલીમાર્થી ક્લાર્કની ભરતી કરવામાં આવી છે. જેઓ લેખિત અને મૌખિક પરીક્ષામાં પાસ થયા તેમની જ નિમણૂક થઈ છે. ઉપરાંત,૧૮ ઉમેદવારોની નિમણૂકની વાત છે એમાં હકીકત એ છે કે, દર વર્ષે માર્ચ-એપ્રિલમાં ખેડૂત ધિરાણને લઈ બેન્કમાં કામ વધારે હોય છે આથી એક-દોઢ માસ માટે રોજમદાર તરીકે ભરતી થતી હોય છે અને પછી ધિરાણની કામગીરી પૂર્ણ થાય એટલે છૂટ્ટા કરી દેવાતા હોય છે. આથી ભરતી અંગે થયેલા આક્ષેપો સંપૂર્ણપણે પાયાવિહોણા હોવાનું તેમણે અંતમાં જણાવ્યું હતું.
સમગ્ર પ્રકરણની તપાસ ચાલુ : જિલ્લા રજિસ્ટ્રાર
ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકમાં ભરતીનો વિવિદ શરૂ જ વકર્યો છે તેવામાં આજે વિદ્યાર્થી નેતાએ કરેલી ભાવનગર જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆત બાદ ખુદ જિલ્લા રજિસ્ટ્રારે આ મામલે આ અરજી પૂર્વેથી જ તપાસ શરૂ હોવાનું જણાવ્યું હતું. ભાવનગર જિલ્લા રજિસ્ટ્રાર દેસાઈએ જણાવ્યું કે, આ સમગ્ર પ્રકરણની તપાસ કરવાનો રાજ્ય રજિસ્ટ્રારે આદેશ કર્યો હતો. જેના અનુસંધાને ગત તા. ૧૨મી માર્ચથી તપાસ ચાલી રહી છે.
નિવૃત્ત જજની કમિટી અથવા સીટ દ્વારા તપાસ કરાવવા માંગ
યુવા અધિકાર ન્યાય ચળવળને નેજા હેઠળ જિલ્લા રજિસ્ટ્રારને પાઠવાયેલ આવેદનપત્રમાં એવી માંગ પણ કરવામાં આવી હતી કે, ખરેખર તો સહકારી ભરતી પણ સેન્ટ્રલાઈઝ કરી દેવી જોઈએ. શા માટે ખાનગી એજન્સીને ભરતી પ્રક્રિયાની કામગીરી સોંપવામાં આવે છે ? જિલ્લા સહકારી બેન્કની ભરતી માટે આઈબીપીએસ/નાબાર્ડ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ રિક્રૂટમેન્ટ એજન્સીને કામ સોંપવામાં આવે. નિષ્પક્ષ તપાસ માટે નિવૃત્ત જજની કમિટી બનાવવામાં આવે અથવા તો એસ.આઈ.ટી. (સીટ)ની રચના કરી આ કૌભાંડની જાણકારી ધરાવનાર જાગૃત નાગરિકને તેમાં સભ્ય બનાવી તપાસ કરવામાં આવે. જે પણ દોષિત હોય તેના પર પગલા લઈને કડકમાં કડક સજા કરી દાખલો બેસાડવામાં આવે.










