![]()
– મિલકત વેરો વસુલવા માટે મહાપાલિકાના ઘરવેરા વિભાગની કાર્યવાહી યથાવત
– મહાપાલિકાની ટીમે મિલકત વેરો વસુલવા સીલ મારવાની કાર્યવાહી કરાતા બાકીદારોમાં ગભરાટ
ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકાના મિલકત વેરા વિભાગ ખાતે નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ નો મિલકત વેરો સ્વિકારવાની કામગીરી યથાવત છે અને મિલકત વેરો વસુલવા માટે રીકવરી ટીમ પણ કામગીરી કરી રહી છે, જેના પગલે મહાપાલિકાને છેલ્લા ૬ માસમાં મિલકત વેરાની સારી આવક થઈ છે.
મહાપાલિકાને છેલ્લા ૬ માસમાં મિલકત વેરાની કુલ રૂા. ૧૩પ.૩પ કરોડની આવક થઈ છે અને કુલ ૧,૭૯,૬૦૮ કરદાતાએ મિલકત વેરો ભર્યો છે. મહાપાલિકાને તા. ૧ એપ્રિલથી ગત સપ્ટેમ્બર માસ સુધીમાં મિલકત વેરાની સારી આવક થઈ છે. એપ્રિલ અને મે માસમાં રિબેટ યોજનાના પગલે મહાપાલિકામાં ઘણા કરદાતાઓ મિલકત વેરો ભર્યો હતો પરંતુ ત્યારબાદ મહાપાલિકાની મિલકત વેરાની આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો. રિબેટ યોજના પૂર્ણ થયા બાદ મહાપાલિકાએ મિલકત વેરો વસુલવા કાર્યવાહી હાથ ધરી છે અને મિલકત વેરો નહીં ભરતા બાકીદારોની મિલકતને સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે તેથી બાકીદારોમાં ગભરાટ ફેલાયો છે, જેના પગલે બાકીદારો મિલકત વેરો ભરી રહ્યા છે.
મિલકત વેરો નહીં ભરનારની મિલકત સીલ મારવાની કામગીરી આગામી દિવસોમાં પણ શરૂ રહેશે તેથી બાકીદારોને મિલકત વેરો ભરી દેવા માટે મહાપાલિકાના ઘરવેરા વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવેલ છે. મહાપાલિકાની કાર્યવાહીના પગલે આગામી દિવસોમાં હજુ આવક વધવાની શકયતા છે.
જુની કરપધ્ધતિમાં માત્ર રૂા. 1.90 કરોડની આવક
ભાવનગર મહાપાલિકા દ્વારા જુની કર પધ્ધતિમાં પણ મિલકત વેરો વસુલવાની કામગીરી યથાવત છે અને જુની કર પધ્ધતિમાં વેરો વસુલ કરવા માટે લાંબા સમયથી સ્કીમ આપવામાં આવેલ છે, જેના પગલે અત્યાર સુધીમાં કુલ ૧,૩૪૩ કરદાતાએ માત્ર રૂા. ૧.૯૦ કરોડનો વેરો ભર્યો છે. જુની કરપધ્ધતિમાં હજુ ઘણા કરદાતાનો વેરો બાકી છે ત્યારે મહાપાલિકાએ કડક કાર્યવાહી કરવી પડશે તેમ જણાય રહ્યુ છે.










