![]()
જૂનાગઢ સહિત જિલ્લામાં આજે ગાંધી જયંતીની ઉજવણી : વૈભવી વાહનોમાં ફરતા અને સાહ્યબી ભોગવતા આજના નેતાઓએ ગાંધીજીની સાદગીમાંથી પ્રેરણા લેવાની જરૂર
જૂનાગઢ, : આવતીકાલે તા. 2 ઓક્ટોબરના ગાંધી જ્યંતિની ઉજવણી થશે. મહાત્માનું બિરૂદ મળ્યા બાદ ગાંધીજી સોરઠના પ્રવાસે આવ્યા હતા. આ વર્ષે તેને 100 વર્ષ પૂર્ણ થયા છે. ટ્રેનમાં આવી ગાંધીજીએ પોતાની સાદગીનો પરિચય આપ્યો હતો. હાલ વૈભવી વાહનોમાં ફરતા અને સાહ્યબી ભોગવતા નેતાઓએ ગાંધીજીની સાદગીમાંથી પ્રેરણા લેવાની જરૂર છે.
જૂનાગઢ સહિત જીલ્લામાં આવતીકાલે 2 ઓક્ટોબરના મહાત્મા ગાંધીજીની જ્યંતિ ઉજવાશે. ઈતિહાસકારોના મતે ગાંધીજીને 1915માં મહાત્મા તરીકે સંબોધવામાં આવ્યા હતા. મહાત્માનું બિરૂદ મળ્યા બાદ 1925ના એપ્રિલ માસમાં ગાંધીજી સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હતા. બોટાદ, રાણપુર, સોનગઢ, પાલીતાણા, લાઠી, અમરેલી, ચલાળા, ઢસા, બગસરા થઈ કેશોદ સ્ટેશન પર ટ્રેનમાં પહોંચ્યા હતા. ત્યાંથી મોટર માર્ગે માંગરોળ ગયા હતા. એ સમયે નવાબનું શાસન હતું જેને બ્રિટીશ સરકાર સાથે ઘનિષ્ઠ સબંધો હતા છતાં ગાંધીજીની યાત્રામાં કોઈ અડચણ ઉભી કરવામાં આવી ન હતી. માંગરોળમાં યોજાયેલી વિશાળ સભામાં તેઓને માનપત્ર આપવામાં આવ્યું હતું. બાદમાં ગાંધીજી માંગરોળથી માણાવદર પહોંચ્યા હતા જ્યાં જે ચોકમાં સભા યોજાઈ હતી તેનું આજે પણ ગાંધીચોક નામ છે.
આમ, ગાંધીજી સૌરાષ્ટ્ર કાઠીયાવાડના પ્રવાસે આવ્યા હતા તેને આ વર્ષે 100 વર્ષ પૂર્ણ થયા છે. તે સમયે ગાંધીજીએ ટ્રેનમાં યાત્રા કરી પોતાની સાદગીનો પરિચય આપ્યો હતો. હાલના નેતા વૈભવી વાહનોમાં પ્રવાસ કરી દોમદોમ સાહ્યબી ભોગવી રહ્યા છે. આવતીકાલે ખાદી ધારણ કરી ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પહેરાવી ગાંધીજીને શ્રધ્ધાંજલી અર્પણ કરી ગાંધી જ્યંતિની ઉજવણી કર્યાનો સંતોષ માની લે છે પરંતુ સાચા અર્થમાં ગાંધીજીની સાદગીમાંથી પ્રેરણા લઈ ગાંધી જ્યંતિની ઉજવણી કરવામાં આવે એ જરૂરી છે.










