![]()
– નડિયાદ જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત્
– ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા, પોલીસે બંને અકસ્માત મુદ્દે ગુનો નોંધી તપાસ આદરી
નડિયાદ : મહુધા તાલુકાના પણસોરા-અલીણા રોડ ઉપર હેરંજ સીમ અને ચૂણેલ નજીક બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં સાતને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બંને બનાવ અંગે મહુધા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મહુધા તાલુકાના રમેશભાઈ જશવંતભાઈ ઝાલા તેમની માતા અંબાબેનને મોટરસાયકલ પર બેસાડી પણસોરા ગામે અનાજ કરિયાણું ખરીદી પરત ઘરે જઈ રહ્યાં હતા. આ દરમિયાન હેરંજ સીમ નજીક પાછળથી આવેલા મોટરસાયકલ અથડાતા બંને બાઈક સવાર રોડ ઉપર પટકાયા હતા. આ અકસ્માત સર્જાતા મોટરસાયકલ પાછળ બેર્ઠેા અંબાબેન જશવંતભાઈ ઝાલા તેમજ અકસ્માત સર્જનાર મોટર સાયકલનો ચાલક સલીમભાઈ અલી મોહમ્મદ મલેક તેમજ તેની પાછળ બેઠેલ જાકીર હબીબ ખાન પઠાણ (બંને રહે. હેરંજ)ને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બીજા બનાવમાં નડિયાદ તાલુકાના પીપળાતા ગામના રણછોડભાઈ રઇજીભાઈ પરમાર તેમના મિત્ર વિજયભાઈ લલ્લુભાઈ પરમારને મોટર સાયકલ પર બેસાડી પણસોરા ગામે ભેંસો જોવા ગયા હતા. જ્યાંથી તેઓ હેરંજ થઈ ચુણેલ તરફ આવતા હતા. ત્યારે સામેથી આવતી મોટરસાયકલ અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રણછોડભાઈ પરમાર તેમજ બાઈક પાછળ બેઠેલા વિજયભાઈ પરમાર તેમજ અકસ્માત સર્જનાર બાઈક ચાલક યોગેશભાઈ મહેશભાઈ તેમજ તેમની બાઈક પાછળ બેઠેલ વિનોદભાઈ તળપદાને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બંને બનાવ અંગે મહુધા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.










