![]()
માછલીઓનાં પ્રજનન, સંવર્ધનને ધ્યાને રાખી ફિશિંગ બાન : સાગરપુત્રો 61 દિવસનાં વેકેશન દરમિયાન સામાજિક પ્રસંગો ઉજવશે, બોટોનું સમારકામ હાથ ધરાશે
પોરબંદર, : પોરબંદર સહિત રાજ્યભરના માછીમારો માટે તા. 1લી જૂનથી 31મી જુલાઇ સુધી 61 દિવસનું વેકેશન જાહેર કરાયું છે, અને દરિયામાં માછીમારી પર પ્રતિબંધ મૂકાયો છે. વેકેશન દરમિયાન સાગરપુત્રો દ્વારા સામાજિક પ્રસંગો ઉજવાશે તથા ફિશિંગ બોટોને સમુદ્રમાંથી કાંઠે લાવી સમારકામ સહિતની કામગીરી કરાશે.
દરિયાઈ વિસ્તારમાં માછલીઓના પ્રજનન અને સંવર્ધનને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ ફિશિંગ બાન સમયગાળો અમલમાં મુકવામાં આવ્યો છે, જેમાં જાહેરનામા મુજબ ભારતીય વિશિષ્ટ આર્થિક ઝોન હેઠળ પશ્ચિમ દરિયાકાંઠા વિસ્તારમાં તા. 1 જૂન, ૨૦૨૬થી તા. 31 જુલાઈ, 2026 સુધી (બંને દિવસો સહિત કુલ 61 દિવસ) ફિશિંગ બાન જાહેર કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં માછીમારી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ રહેશે, જ્યારે ગુજરાત મત્સ્યોદ્યોગ નિયમ-2003 તથા સરકારના નોટિફિકેશન મુજબ ગુજરાતના દરિયાકાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં તા. 1 જૂનથી તા. 15 ઓગસ્ટ, 2026 સુધી (બંને દિવસો સહિત કુલ 76 દિવસ) ફિશિંગ બાન સમયગાળો અમલમાં રહેશે. તમામ યાંત્રિક બોટો અને હોડીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય તેમજ પ્રાદેશિક જળ વિસ્તારમાં થતી માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે, આ પ્રતિબંધમાંથી નોન-મોટરાઈઝ્ડ ક્રાફ્ટ, લાકડાની બિન-યાંત્રિક હોડીઓ, સઢવાળી હોડીઓ તથા પગડિયા માછીમારીને મુક્તિ આપવામાં આવી છે. આ આદેશનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.










