![]()
વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે ગઈકાલે બપોરે બસ સ્ટેશનની ઇમારતના એન્ટ્રી-એક્ઝિટ માર્ગ પર સુશોભન માટેબનાવવામાં આવેલું ભારેખમ સ્ટ્રક્ચર અચાનક ધરાશાયી થયુ હતું.
આ દુર્ઘટનામાં અમદાવાદના ૭૦ વર્ષના પ્રવાસી નરસિંહભાઈ ગોવિંદભાઈ દવે કાટમાળ નીચે દબાઈ જતા ઘટનાસ્થળ પર જ તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આજે મૃતકના પુત્ર અનિમેષ દવેએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું કે, એસ.ટી. સત્તાવાળાઓ આ ઘટના વાઇબ્રેશનના કારણે બની હોવાનો બચાવ કરી રહ્યું છે. તેઓએ સીધો સવાલ ઉઠાવ્યો કે, જો વાઇબ્રેશન ખતરાભર્યું હતું, તો પછી બસોની અવરજવર કેમ ચાલુ રાખવામાં આવી? તેઓએ એ પણ સવાલ કર્યો કે જો આ સ્ટ્રક્ચર કોઈ બસ ઉપર પડયું હોત તો કેટલી મોટી જાનહાનિ થઈ ગઈ હોત. આ ઘટનામાં મેનેજમેન્ટની બેદરકારી સ્પષ્ટ જણાય છે એમ તેઓએ ઉમેર્યું હતું.
એમણે જણાવ્યું કે, બસ સ્ટેશનના મેઇન્ટેનન્સ મામલે જવાબદાર સામે ગુનો દાખલ થવો જોઈએ, પરંતુ પોલીસ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે તેવું કારણ આગળ ધરે છે. તેઓએ માગ કરી છે કે વહેલી તકે ફરિયાદ નોંધવામાં આવે અને પોસ્ટમોર્ટમ થાય જેથી તેઓ પિતાના પાર્થિવ દેહને ઘરે લઈ જઈ શકે, જ્યાં પરિવારના સભ્યો રાહ જોઈ રહ્યા છે.










