![]()
બનારસ યુનિ.માં વિચિત્ર ઘટના
યાદશક્તિ ગુમાવવાથી કઇ યાદ નહોતુ પણ હવે ઠીક છું, પરિવારને પેન્શન બંધ કરો : કર્મચારી રમાશંકર
વારાણસી: બનારસ હિન્દુ યુનિવર્સિટી એટલે કે બીએચયુમાં એક જીવિત કર્મચારીને મૃત માનીને પરિવારને પેન્શન આપવાનું શરૂ કરી દેવાયું હતું. જોકે ૧૨ વર્ષ બાદ આ કર્મચારી અચાનક યુનિ. પ્રશાસન સમક્ષ હાજર થયો અને પરિવારને મળતું પેન્શન અટકાવવાની માગ કરી હતી. જેને પગલે આ મામલામાં આગામી પગલું શું લેવુ તેને લઇને પ્રશાસન મુંજવણમાં મુકાયુ છે.
રમાશંકર રામ ટાઇપિસ્ટ અને કેશબુક વગેરેનું કામ કરી ચુક્યા હતા બાદમાં તેમને હોસ્ટેલમાં વરીષ્ઠ સહાયક તરીકે નિમવામાં આવ્યા હતા.
વર્ષ ૨૦૧૩માં રમાશંકર અચાનક જ ગૂમ થઇ ગયા હતા. જેને પગલે બાદમાં પરિવાર દ્વારા પણ તેમના ગૂમ થવાની પોલીસમાં ફરિયાદ આપી હતી. બાદમાં નવેમ્બર ૨૦૨૫ના રોજ એટલે કે ૧૨ વર્ષ બાદ રમાશંકર રામ અચાનક જ પરત ફર્યા હતા.
રમાશંકરે યુનિ. પ્રશાસનને જણાવ્યું હતંુ કે ૨૦૦૭ બાદ મારુ માનસિક સંતુલન ખરાબ થઇ ગયું હતું. સાથે જ લકવો પણ થયો હતો.
તે આ સમયગાળા દરમિયાન યાદશક્તિ ગુમાવી બેઠા હતા, જોકે બાદમાં અચાનક જ યાદશક્તિ પાછી આવી હતી. જેને પગલે તેને બધુ યાદ આવ્યું. આ દરમિયાન પરિવારને તેમના નામનું પેન્શન મળી રહ્યું છે તેવી જાણ થતા જ તેઓ યુનિ. પ્રશાસન પાસે પહોંચી ગયા હતા અને આ પેંશન અટકાવવાની માગ કરી હતી. જ્યારે કોઇ કર્મચારી ગૂમ થઇ જાય ત્યારે ગૂમ થવા અંગેના નિયમો શું છે તેની ચકાસણી કરાઇ રહી છે.










