![]()
વડોદરા,મોડીરાત્રે પ્રતાપનગર સિંધવાઇ માતા રોડ પર એક જ કોમના બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. તિક્ષ્ણ હથિયારથી હુમલો થતા પાંચ લોકોને ઇજા પહોંચી હતી. મકરપુરા પોલીસે સામસામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રતાપનગર સિંધવાઇ માતા રોડ પર સરદાર સોસાયટીમાં રહેતા અને ગેરેજ ચલાવતા રણજીતસિંગ દીલપાલસિંગ પંજાબીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાત્રે ૧૧ વાગ્યે હું તથા મારા મિત્રો અટલાદરા સ્વામિ નારાયણ મંદિર પાસે આવેલા બોક્સ ક્રિકેટમાં રમવા માટે ગયા હતા. તે દરમિયાન મારા નાના ભાઇએ ફોન કરીને જાણ કરી કે, કિશનસિંગે સોસાયટીમાં આવી મને તમાચા મારી દીધા હતા. જેથી,હું ફટાફટ ત્યાં પહોંચી ગયો હતો. અમે વાતચીત કરતા હતા. તે દરમિયાન કારમાં હુમલાખોરો આવ્યા હતા. બેટ, ડંડો અને તલવાર વડે આરોપીઓએ હુમલો કરી ત્રણને ઇજા પહોંચાડી હતી. આરોપીઓએ મોડીરાત્રે વિસ્તારમાં ભય અને આતંકનો માહોલ ઉભો કરી દીધો હતો. સોસાયટીના રોડ પર પાર્ક ત્રણ ફોર વ્હિલર અને ત્રણ ટુ વ્હિલરની પણ આરોપીઓએ તોડફોડ કરી હતી. પોલીસને જાણ કરવામાં આવતા આરોપીઓ જતા રહ્યા હતા. પોલીસે કુલ ૧૩ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે.
જ્યારે સામા પક્ષે કરણસિંગે ૬ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેની વિગત એવી છે કે, આરોપીઓએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી કરણસિંગને ઇજા પહોંચાડી હતી. તે ઉપરાંત અન્ય આરોપીએ તલવાર વડે હુમલો કરી બે લોકોને ગંભીર ઇજા પહોંચાડી હતી.










