![]()
નવી દિલ્હી : મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) મ્યુચ્યુઅલ ફંડ અને શેર બ્રોકર નિયમોમાં વ્યાપક સમીક્ષા કરવાની તૈયારીમાં છે. નિયામક તંત્ર આ માટે માળખાને વધુ સુસંગત અને કાર્યક્ષમ બનાવવા માગતું હોવાનું સેબીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
સેબી બોર્ડની આગામી ૧૭, ડિસેમ્બરના મળનારી મીટિંગમાં આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે એવું અધિકારીનું કહેવું છે. સેબીએ બન્ને નિયમો પર તાજેતરમાં જ કન્સલ્ટેશન પેપર્સ બહાર પાડયા હતા. ઓકટોબરમાં નિયામક તંત્રએ મ્યુચ્યુઅલ ફંડ નિયમોમાં ફેરફારનો પ્રસ્તાવ મૂકતો એક કન્સલ્ટેશન પેપર બહાર પાડયું હતું. જેમાં ટોટલ એક્સપેન્સ રેશીયો (ટીઈઆર)ની સ્પષ્ટ વ્યાખ્યા અને બ્રોકરેજ ચાર્જ પર સુધારેલી મર્યાદાનો સમાવેશ છે. આ ભલામણોનો હેતુ પારદર્શિતા વધારવા, માહિતીને તર્કસંગત બનાવવા, રિડન્ડન્સી ઘટાડવા અને પાલનને સરળ બનાવવાનો છે, એમ અધિકારીએ કહ્યું હતું.
પ્રસ્તાવિત માળખાના ભાગરૂપે, સેબી વધારાના પાંચ બેઝિઝ પોઈન્ટ દૂર કરવાની યોજના ધરાવે છે, જે એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (એએમસી)ને અગાઉ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં વસૂલવાની મંજૂરી આપવામાં આવી હતી. આ વધારાનો ખર્ચ, યોજનાઓમાં એક્ઝિટ લોડ પાછા જમા કરવાની અસરને સરભર કરવા માટે રજૂ કરવામાં આવ્યો હતો. આ પહેલા ૨૦૧૨માં ૨૦ બેઝિઝ પોઈન્ટ પર સેટ કરવામાં આવ્યો હતો અને બાદમાં ૨૦૧૮માં પાંચ બેઝિઝ પોઈન્ટ સુધી ઘટાડી દેવામાં આવ્યો હતો. મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓને ચાર્જ કરવાની મંજૂરી આપવામાં આવેલા પાંચ બેઝિઝ પોઈન્ટનો વધારોનો ખર્ચ હંગામી હતો.
સ્પષ્ટતામાં વધુ સુધારો કરવા માટે, સેબીએ એસટીટી, જીએસટી, સીટીટી અને સ્ટેમ્પ ડયુટી જેવા તમામ કાનૂની વસૂલાતને ટીઈઆર મર્યાદામાંથી બાકાત રાખવાનું પણ સૂચન કર્યું છે, તેમ જ બ્રોકરેજ, એક્સચેન્જ અને નિયમનકારી ફી માટે હાલમાં માન્ય ખર્ચ પણ છે. હાલમાં, મેનેજમેન્ટ ફી પર જીએસટી લેવાની મંજૂરી ટીઈઆર મર્યાદાથી ઉપર માન્ય છે, જ્યારે અન્ય કાનૂની શુલ્ક મ્યુચ્યુઅલ ફંડ સ્કિમો માટે નિર્ધારિત મર્યાદામાં આવે છે. નિયમનકારે તાજેતરમાં દરખાસ્ત પર જાહેર ટિપ્પણીઓ માટેની અંતિમ તારીખ ૧૭, નવેમ્બરથી વધારીને ૨૪, નવેમ્બર કરી છે.










