![]()
AMC History: અમદાવાદ મ્યુનિસપિલ કોપીરેશનની ચૂંટણી નજીક આવી રહી છે. આજની ‘જેન ઝી’ એ વાતથી વાકેફ નહીં હોય કે સરદાર વલ્લભભાઈ પટેલની રાજકીય કારકિર્દીની શરૂઆત અમદાવાદથી થઈ હતી. સરદાર પટેલ 14મી મે 1917થી 14મી જુલાઈ 1922 સુધી સુધરાઈના સભ્ય તરીકે અને નવમી ફેબ્રુઆરી 1924થી 13મી એપ્રિલ 1928 સુધી પ્રમુખ તરીકે ફરજ બજાવી હતી. મ્યુનિસિપલ પ્રમુખ તરીકે સરદાર પટેલ દ્વારા કરવામાં આવેલી કામગીરીને આજે પણ દ્રષ્ટાંતરૂપે યાદ કરવામાં આવે છે.
ગાંધીજી સાથે સ્વતંત્રતા સંગ્રામમાં જોડાવાવ માટે સરદાર પટેલે અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું
નવમી ફેબ્રુઆરી 1922ના અમદાવાદ મ્યુનિસિપાલિટી સસ્પેન્ડ કર્યાના બે વર્ષ બાદ 30મી જાન્યુઆરી 1924ના રોજ ચૂંટણી યોજવામાં આવી હતી. 48 પ્રજાનિયુક્ત સભ્યો ચૂંટવા માટે સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. સરદાર પટેલે ખાડિયા વોર્ડથી બિનહરીફ ચૂંટાયા હતા. સરદાર પટેલ લગભગ 3,800 દિવસ કાઉન્સિલર અને 1,555 દિવસ મ્યુનિસિપલ અધ્યક્ષ રહ્યા હતા. ગાંધીજી સાથે સક્રિયતાથી સ્વતંત્રતા સંગ્રામમાં જોડાવાના નિર્ણયને કારણે તેમણે 13મી એપ્રિલ 1928ના રોજ અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું હતું.
આ પણ વાંચો: ગરમી વધારે અને ચોમાસું નબળું! હવામાન વિભાગે જાહેર કર્યું ચિંતાજનક ‘મોન્સુન એલર્ટ’, અલ નીનો સર્જાશે
સરદાર પટેલ કેવી રીતે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા?
સરદાર પટેલે 1917માં મ્યુનિસિપાલિટીની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો, ત્યારે તેમના એક બેરિસ્ટર મિત્ર ચિમનલાલ ઠાકોરે સલાહ આપતા કહ્યું હતું કે, ‘અમદાવાદીઓમાં જાહેર જુસ્સા જેવું નથી. તમે જાહેર પ્રવૃત્તિમાં પડો નહીં.’ અલબત્ત આ સલાહને અવગણીને સરદાર પટેલ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. દરિયાપુર વોર્ડના કાઉન્સિલર સૈયદ એહમદમિયાં સરફુદ્દીનનું અવસાન થતાં યોજાયેલી પેટા ચૂંટણીમાં સરદાર પટેલ ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા.
આ પેટા ચૂંટણીમાં સરદાર પટેલ, ગુલામ મોહ્યુદીન નરમાવાલા અને હોમી પેસ્તનજી ચાહેવાલા એમ ત્રણ વચ્ચે મુકાબલો થયો હતો. હોમી પેસ્તનજી ચાહેવાલાએ હારી જવાની આશંકાને કારણે ઉમેદવારી પરત ખેંચી હતી. પરિણામ જાહેર થયું ત્યારે સરદાર પટેલને 313 અને ગુલામ મોહ્યુદ્દીનને 312 મત મળ્યા હતા. આ પરિણામને ગુલામ મોહ્યુદ્દીને કોર્ટમાં પડકાર્યો હતો અને તેમનો આરોપ હતો કે રતિલાલ નાથાલાલ નામના એક મતદાતાએ મત આપ્યો હતો, પરંતુ તે સગીર હોવાથી તેમનો મત રદ કરવામાં આવે. કોર્ટે તેમની દલીલ સ્વીકારતાં પેટા ચૂંટણીનું પરિણામ રદ કર્યું. 1917માં ફરી યોજાયેલી પેટા ચૂંટણીમાં સરદાર પટેલ બિનહરીફ ચૂંટાયા હતા.
જ્યાં સરદાર છે ત્યાં મારે કંઈ કરવાપણું હોય જ નહીં: ગાંધીજી
1920ના દાયકામાં અમદાવાદ શહેરમાં ગીચ વસવાટને કારણે છાસવારે રોગચાળો ફેલાતો. બિમારીઓના આવાગમનને રોકવા માટે સરદારના નેતૃત્વમાં 222 દિવસ સુધી યુદ્ધના ધોરણે સાફસફાઈ અભિયાન ચલાવાયું હતું. સરદારના સફાઈ અભિયાન અંગે મહાત્મા ગાંધીએ કહ્યું કે, ‘મારી ઈચ્છા તો તેમની સાથે કોદાળી, ઝાડુ, ચૂનાની બાલટી અને એક પીંછી લઈને ઊભા થઈ જવાની થાય. પરંતુ જ્યાં વલ્લભભાઇ કચરાપટ્ટીના સરદાર છે ત્યાં મારે કાંઈ કરવાપણું હોય જ નહીં.’
મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે સરદાર પટેલની કામગીરી
•અમદાવાદનો વિકાસ કરવા માટે તેમણે વિવિધ યોજનાઓનો મક્કમતાપૂર્વક અમલ કરાવ્યો હતો. કોટની ચાર દીવાલમાં વસતા અમદાવાદનો વિકાસ કરવા માટે એલિસબ્રિજ, મણિનગરની ટાઉન પ્લાનિંગ સ્કીમ રજૂ કરવામાં આવી હતી.
•વર્ષોથી અંગ્રેજીમાં ચાલતો અટપટો વહીવટ ગુજરાતી ભાષામાં સરળતાથી શરૂ કરાવ્યો હતો.
•સત્તામાં મહિલાઓને ભાગીદાર બનાવવાની પહેલ સરદાર પટેલે કરી હતી. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં મહિલાઓને પ્રતિનિધિત્વ આપવા માટેનો ઠરાવ 1919માં સરદાર પટેલે પસાર કર્યો હતા.
•રાજ્ય સરકાર સામે પરિશ્રમનો જંગ ખેલીને તેમણે પાલિકામાં સમાવિષ્ટ વિસ્તારો માટે પીવાનાં પાણીની સુવિધા કરી આપી હતી.
•ગુજરાતની સૌપ્રથમ-ભારતની બીજી કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી અમદાવાદના કોચરબ જેવા પરાં વિસ્તારમાં સાકાર થઈ.
•ધી બ્રહ્મક્ષત્રિય કો ઓ હાઉસિંગ સોસાયટીનો જન્મ થયો તેની પાછળ પ્રીતમરાય દેસાઈનો અગાથ પ્રયાસ હોવાથી સરદારના સૂચનથી સોસાયટીનું નામ પ્રીતમનગર રખાયું.
•વર્ષોથી રિપન હોલ તરીકે ઓળખાતા સભાખંડનું નવસંસ્કરણ ગાંધી હોલ કર્યું.
•24 ઓગસ્ટ 1924ના ગાંધીજીનું સૌપ્રથમ નાગરિક સન્માન કરવાનું માન પણ સરદારે અમદાવાદ મ્યુનિ.ને અપાવ્યું.
•સામાન્ય નાગરિક કોઈ પણ ખચકાટ વિના પોતાની નાનકડી સમસ્યા સાથે પણ સરદારને મળી શકતી હતી. સરદાર પટેલ પણ તેમને શાંતિથી સાંભળતા અને તેમની સમસ્યાનું નિરાકરણ લાવતા. આમ, તેમના કાર્યકાળમાં ખરા અર્થમાં મ્યુનિસિપાલિટી ‘પ્રજાની મ્યુનિસિપાલિટી’ બની હતી.










