![]()
40 દિવસ ચાલેલી મતદારયાદી સઘન ચકાસણી બાદ : મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ કરાઈ તેમાં 1.69 લાખનું કાયમી સ્થળાંતર અને 89,553 નાં મૃત્યુ થયા હતા છતાં નામો હતા!
રાજકોટ, : મતદાર યાદીની 23 વર્ષ બાદ ખાસ સઘન સુધારણા (સ્પેશિયલ ઈન્ટેન્સીવ રિવિઝન) હેઠળ ગત તા. 4-11-2025 થી તા. 14-11-2025 દરમિયાન ઘરે ઘરે જઈને જિલ્લાના 23.91 લાખ મતદારોની કરાયેલી ચકાસણી બાદ આજે પ્રસિધ્ધ કરાયેલી ડ્રાફ્ટ મતદારયાદી મૂજબ 8,23,668 મતદારોએ જાતે અને 10,06,177 મતદારોના નામનું બી.એલ.ઓ.દ્વારા ઉપલબ્ધ વિગતોના આધારે મેપીંગ કર્યું છે. જ્યારે આશરે 3.35 લાખ અર્થાત્ 14 ટકા મતદારોના નામ રદ થયા છે. આ તમામને હવે તેમના નામ ઉમરેવા,વાંધા-હક્ક માટે આજ તા. 19 ડિસેમ્બરથી તા. 10 ફેબુ્રઆરી સુધીનો સમય આપીને નોટિસ આપવાની કામગીરી હાથ ધરાશે.
સત્તાવાર માહિતી મૂજબ 1.69 લાખ મતદારો જિલ્લામાંથી કાયમી સ્થળાંતર કરી ગયા છે જ્યારે 89,553 ના અવસાન થયા હોવાથી આ નામો રદ કરાયા હતા. આશ્ચર્યની વાત એ છે કે આ નામો હજુ પણ યાદીમાં હતા અને રદ કરવા પડયા છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે આ પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય તે માટે રાજકીય પક્ષો સાથે પાંચ બેઠકો યોજવામાં આવી હતી અને ગેરહાજર, સ્થળાંતરિત, મૃત્યુ પામેલા મતદારોની યાદી અલગથીિ બનાવીને તે રાજકીય પક્ષોને આપી હતી જેથી કોઈ નામ ભૂલથી રદ ન થઈ જાય. આ બેઠક બાદ ઉપરોક્ત ડેટા તૈયાર કરાયો છે.
નજીકના સમયમાં મહાપાલિકાની ચૂંટણી છે ત્યારે નાગરિકોને મતદારયાદીમાં નામ નોંધાવવા, સુધારા વધારા કરવા તા. 19 ડિસેમ્બરથી 10 ફેબ્રુઆરી સુધી નોટિસ ઈસ્યુ, સુનાવણી, ચકાસણી સહિતની કામગીરી થશે જેમાં તા. 1-1-2026 ની સ્થિતિએ 18 વર્ષની ઉંમર થઈ હોય તેઓફોર્મ નં. 6 અને સરનામુ બદલાયું હોય તેઓ ફોર્મ નં. 8 ભરીને મતદાર નોંધણી અધિકારીને આપી શકશે. યાદી સીઈઓ ગુજરાત વેબસાઈટ પર જોઈ શકાશે. તા. 17-2-2026 ના ફાઈનલ મતદારયાદી પ્રસિધ્ધ થશે.










