![]()
વડોદરા, તા.9 રાજ્યના નાણાં વિભાગ દ્વારા રાજ્યની ૧૦ પેટા તિજોરી કચેરીઓને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં વડોદરા જિલ્લાની કરજણ પેટા તિજોરીનો પણ સમાવેશ થાય છે.
નાણાં વિભાગ દ્વારા તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડી જણાવવામાં આવ્યું છે કે પેટા તિજોરી કચેરીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં તદ્દન ઓછું કાર્યભારણ ધરાવતી પેટા તિજોરી કચેરીઓની યાદી તૈયાર કરવામાં આવી છે. પેટા તિજોરી કચેરીઓનું કાર્યભારણ એટલે કે ઉપાડ અધિકારીઓની સંખ્યા, ચલણ, બિલોની સંખ્યા, સ્ટેમ્પ વેન્ડર તેમજ સ્ટેમ્પનું વેચાણ, પેન્શનરોની સંખ્યા અને નજીકની પેટા તિજોરી કચેરીનું અંતર વગેરે બાબતો ધ્યાનમાં રાખી ૧૦ પેટા તિજોરીઓને બંધ કરવામાં આવશે.
રાજ્યના વિવિધ જિલ્લામાં આવેલી ૧૦ પેટા તિજોરી કચેરીઓમાં વડોદરા જિલ્લાની કરજણ પેટા તિજોરી કચેરીનો પણ સમાવેશ થાય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કરજણ પેટા તિજોરી કચેરી જ્યારથી શરૃ થઇ ત્યારથી જ આ કચેરીમાં સ્ટ્રોંગરૃમ પણ નથી. સ્ટ્રોગરૃમને લગતું કોઇ કામ હોય તો પાદરાથી થતું હતું. પેટા તિજોરી કચેરીઓ બંધ થવાથી આ કચેરીઓમાં જે સ્ટાફ ફરજ બજાવતો હતો તેને અન્ય કચેરીમાં સમાવેશ કરવામાં આવશે.
બંધ થનાર પેટા તિજોરી કચેરીઓના નામો
– કરજણ (વડોદરા)
– મેઘરજ (અરવલ્લી)
– લખતર ( સુરેન્દ્રનગર)
– શિહોર (ભાવનગર)
– પડધરી (રાજકોટ)
– મેંદરડા (જુનાગઢ)
– વંથલી (જુનાગઢ)
– કડાણા (મહિસાગર)
– બોરસદ (આણંદ)
– વાંકાનેર (મોરબી)
જિલ્લામાં શિનોર પેટા તિજોરી કચેરી પણ બંધ કરાઇ હતી
વડોદરા જિલ્લામાં અગાઉ શિનોરની પણ પેટા તિજોરી કચેરી બંધ કરી દેવામાં આવી હતી.આ કચેરીને ડભોઇમાં મર્જ કરાઇ હતી અને હવે કરજણની પેટા તિજોરી બંધ કરીને તેને પાદરામાં મર્જ કરી દેવાશે. જિલ્લામાં હવે માત્ર ચાર તાલુકામાં ડભોઇ, પાદરા, વાઘોડિયા અને સાવલીમાં પેટા તિજોરી કચેરીઓ કાર્યરત રહેશે.










