AAP Crisis Punjab: આમ આદમી પાર્ટી(AAP) માટે રાજકીય સંકટના વાદળો ઘેરાયા છે. પક્ષના 7 રાજ્યસભા સાંસદોએ સાથ છોડી દેતા માત્ર દિલ્હી જ નહીં, પણ પંજાબમાં પણ મોટા ઉથલપાથલની શક્યતા સેવાઈ રહી છે. ખાસ કરીને 2027ની શરૂઆતમાં પંજાબમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે રાઘવ ચઢ્ઢા અને સંદીપ પાઠક જેવા દિગ્ગજ નેતાઓનું જવું પાર્ટી માટે જોખમી સાબિત થઈ શકે તેમ છે. આ બંને નેતાઓએ 2022ની ચૂંટણીમાં ઉમેદવારોના સિલેક્શનથી લઈને સંગઠન ઊભું કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પક્ષના લગભગ 50% ધારાસભ્યો માને છે કે તેમને ટિકિટ અપાવવામાં આ નેતાઓનો જ હાથ હતો. રાઘવ ચઢ્ઢાએ તો પીએમ મોદીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરીને AAPના સંસદીય દળનું ભાજપમાં વિલય કરવાની જાહેરાત પણ કરી દીધી છે.
ભગવંત માનનો પ્રહાર: બાગી સાંસદો ‘પંજાબના ગદ્દાર’
આ બળવાને પગલે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આકરો પ્રહાર કરતા બાગી સાંસદોને ‘પંજાબના ગદ્દાર’ ગણાવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે આ નેતાઓએ પોતાની જાન બચાવવા માટે પક્ષ છોડ્યો છે, કારણ કે તાજેતરમાં જ ED દ્વારા અશોક મિત્તલના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. ભગવંત માને ભાજપ પર ‘ઓપરેશન લોટસ’ હેઠળ પક્ષપલટો કરાવવાનો આરોપ લગાવતા કહ્યું કે, જે નેતાઓ જમીની સંઘર્ષ વગર ઉપર આવ્યા છે તેઓ સરપંચ બનવાને લાયક પણ નથી. તેમણે આત્મવિશ્વાસ સાથે ઉમેર્યું હતું કે દુનિયામાં એવી કોઈ કરન્સી નથી જે ભગવંત માનને ખરીદી શકે.
આ પણ વાંચો: યુપીના મઉમાં ભયાનક અકસ્માત, કાર અને ટ્રક વચ્ચેની ટક્કરમાં માતા-પિતા સહિત 5ના મોત
આંતરિક વિખવાદ અને હાઈકમાન્ડનો અતિશય અંકુશ
બીજી તરફ, પક્ષની અંદર લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે સામે આવ્યો છે. પંજાબના ઘણા ધારાસભ્યોનું માનવું છે કે હાઈકમાન્ડના અતિશય અંકુશ અને સંવાદના અભાવે આ સ્થિતિ સર્જાઈ છે. નેતાઓ અને કાર્યકરોમાં એવી નારાજગી છે કે તેમની ફરિયાદો સાંભળવા માટે કોઈ પ્લેટફોર્મ નથી. સંદીપ પાઠકને પંજાબ ઈન્ચાર્જ પદેથી હટાવ્યા બાદ વિવાદ વધુ વકર્યો હતો. હાલમાં પક્ષના ધારાસભ્યોમાં ભય અને અનિશ્ચિતતાનો માહોલ છે કે હજુ કેટલા લોકો ભાજપના સંપર્કમાં હોઈ શકે છે. હવે AAP નેતૃત્વ સામે પક્ષમાં ભંગાણ રોકવા અને કાર્યકરોનો વિશ્વાસ જીતવાનો મોટો પડકાર છે.











