![]()
Sourav Ganguly On Rahul Dravid : પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ રાહુલ દ્રવિડ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ગાંગુલીએ કહ્યું કે, એક સમય એવો હતો જ્યારે વનડે ક્રિકેટમાં રાહુલ દ્રવિડના સ્થાન પર સવાલો ઉઠવા લાગ્યા હતા અને પસંદગીકારો તેમને ટીમમાંથી બહાર કરવા અંગે વિચાર કરી રહ્યા હતા. પરંતુ તેમણે દ્રવિડનો સાથ ન છોડ્યો અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની વિરુદ્ધ ગયા હતા.
…તો દ્રવિડની કારકિર્દી ખતમ થઈ ગઈ હોત : ગાંગુલી
સૌરવ ગાંગુલીએ રાજ શમાનીના પોડકાસ્ટ પર કહ્યું કે, ‘એક સમય હતો, જ્યારે લોકો કહેતા હતા કે, વનડે ક્રિકેટ માટે દ્રવિડનો સ્ટ્રાઈક રેટ યોગ્ય નથી. પસંદગીકારો પણ બીજા ખેલાડીઓને તક આપવાની વાત કરતા હતા. પરંતુ મેં તેમનો સાથ ન છોડ્યો, કારણ કે જો મેં સાથ છોડી દીધો હોત તો કદાચ તેમની કારકિર્દી ખતમ થઈ ગઈ હોત.’
‘ભારત પાસે આવો કોઈ વિકલ્પ નહોતો’
2000ના સમયગાળામાં ટીમ એવા વિકેટકીપરની શોધમાં હતી, જે સારી બેટિંગ પણ કરી શકે. તે વખતે એડમ ગિલક્રિસ્ટ, માર્ક બાઉચર અને કુમાર સંગાકારા જેવા ખેલાડીઓ પોતાની ટીમોના ઓલરાઉન્ડર ખેલાડી હતી, જ્યારે ભારત પાસે આવો કોઈ વિકલ્પ નહોતો. આ જ કારણે ટીમ મેનેજમેન્ટે મોટો નિર્ણય લેતા રાહુલ દ્રવિડને વિકેટકીપિંગની જવાબદારી સોંપી હતી.
આ પણ વાંચો : મારી સાથે પણ આવું જ કર્યું હતું…: વનડે વર્લ્ડકપ પહેલા વિરાટ કોહલી પર દબાણ અંગે અશ્વિનનું દર્દ છલકાયું
‘ટીમને બેટિંગ કરી શકે તેવા વિકેટકીપરની જરૂર હતી’
ગાંગુલીએ એમ પણ કહ્યું કે, ‘અમારી પાસે એવો કોઈ વિકેટકીપર નહોતો, જે બેટિંગ કરી શકે. એટલા માટે અમે દ્રવિડને વિકેટકીપર બનાવ્યા. જેથી અમે એક વધારાના બેટ્સમેનને રમાડી શકીએ.’ આ નિર્ણયના કારણે ભારત મિડલ ઓર્ડરમાં વધુ મજબૂતી બની અને મોહમ્મદ કૈફ જેવા ખેલાડીઓને પ્લેઇંગ-11માં જગ્યા મળી શકી.
‘સેહવાગ, તેંડુલકર યુવરાજે પાર્ટ-ટાઈમ બોલિંગ કરવી પડતી’
તેમણે વધુમાં કહ્યું કે, ‘રાહુલ દ્રવિડને વિકેટકીપર બનાવવાનો નિર્ણય માત્ર એક મેચ પુરતો નહોતો. આવી જ રણનીતિ વર્લ્ડકપ-2003માં અપનાવાઈ હતી, જેના કારણે ભારતીય ટીમ ફાઈનલ સુધી પહોંચી હતી. એ સમયમાં ભારત પાસે મજબૂત ઓલરાઉન્ડર નહોતા. આ જ કારણે મારે ઉપરાંત વીરેન્દ્ર સેહવાગ, સચિન તેંડુલકર અને યુવરાજ સિંહને પાર્ટ-ટાઇમ બોલિંગ કરવી પડતી હતી.’
આ પણ વાંચો : 8 બોલ માટે 18 કરોડ રૂપિયા કિંમત! KKR ને ભારે પડી ગયો આ ખેલાડી, શાહરુખને થયું નુકસાન










