![]()
– દિલ્હીની મેનેજમેન્ટ ઇન્સ્ટિટયૂટની ગરીબ વિદ્યાર્થિનીઓનું શોષણ
– મારા તાબે નહીં થાય તો પરીક્ષામાં નાપાસ કરીશ એવી ધમકી આપતો હતો : સંસ્થાએ કમિટીમાંથી કાઢી મુક્યો
નવી દિલ્હી : દિલ્હીની શારદા ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટની અનેક વિદ્યાર્થિનીઓએ ચૈતન્યાનંદ સરસ્વતી ઉર્ફ પાર્થ સારથી પર ગંભીર આરોપો લગાવ્યા છે. આ સંસ્થાના સંચાલકો દ્વારા આ બાબાની સામે દિલ્હી પોલીસમાં ફરિયાદ દાખલ કરાઇ છે. જેમાં બાબા પર સંસ્થાની આર્થિક રીતે નબળી વિદ્યાર્થિનીઓનું યૌન ઉત્પીડન કરવાનો આરોપ લગાવાયો છે.
ફરિયાદ બાદ દિલ્હી પોલીસે ૩૨ વિદ્યાર્થિનીઓના નિવેદનો નોંધ્યા હતા જેમાંથી ૧૭એ આરોપ લગાવ્યો હતો કે બાબાએ તેની સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. વિદ્યાર્થિનીઓને વોટ્સએપ પર અશ્લીલ મેસેજ મોકલતો હતો, આ ઢોંગી બાબા યુવતીઓને શારીરિક સંબંધ બાંધવા માટે મજબુર કરવા પ્રયાસ કરતો હતો, કેટલીક વિદ્યાર્થિનીઓને બાબા કહેતો હતો કે મારા રૂમમાં આવ, હું તને વિદેશ લઇ જઇશ, તારે કોઇ જ ખર્ચો નહીં કરવો પડે.
દિલ્હીના પોશ વિસ્તાર વસંતુ કુંજામાં આ સંસ્થા આવેલી છે, જ્યાંની વિદ્યાર્થિનીઓને આ ઢોંગી બાબાએ નિશાન બનાવવા પ્રયાસ કર્યો હતો. એક મેસેજમાં બાબા વિદ્યાર્થિનીને ધમકી આપતા કહે છે કે જો તું મારી શરણે નહીં આવે તો તને હું પરીક્ષામાં નાપાસ કરાવીશ. ૧૭ યુવતીઓએ આ બાબાની સામે દિલ્હીની ડિફેન્સ કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે બાબાએ આર્થિક નબળી યુવતીઓને ઇરાદાપૂર્વક નિશાન બનાવી એવુ માનીને કે ગરીબ હોવાથી કોઇ અવાજ નહીં ઉઠાવે. અગાઉ આ બાબાની સામે વર્ષ ૨૦૦૯ અને ૨૦૧૬માં પણ શારીરિક શોષણના કેસો દાખલ થઇ ચુક્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે જે સંસ્થાની વિદ્યાર્થિનીઓનું શોષણ થયું ત્યાં આ બાબા મેનેજમેન્ટ કમિટીનો સભ્ય હતો.










