Swaminarayan Pragatyotsav Vadtaldham: શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ તુલ્ય પાવનધામ વડતાલ ખાતે આજે સોમવારે 15મી ડિસેમ્બરના રોજ સુફલા એકાદશીના શુભ દિવસે શ્રી સ્વામિનારાયણ મહામંત્રના 224મા પ્રાગટ્યોત્સવની ધામધૂમપૂર્વક અને દિવ્યતા સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસર પર સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી અખંડ મહામંત્રની ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તો જોડાયા હતા.
શ્રી હરિ અને મહામંત્રનું વિશેષ પૂજન
ઉત્સવના પ્રારંભે મંદિર પરિસરમાં ગોઠવવામાં આવેલા પૂજન મંચ પર શ્રી હરિકૃષ્ણમહારાજની મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. પૂ. લાલજી સૌરભપ્રસાદજી મહારાજે શ્રી હરિ તથા મહામંત્રનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું હતું અને મહામંત્રનો મહિમા સમજાવ્યો હતો. સંતોના હાથે ઠાકોરજી અને મહામંત્રની આરતી ઉતારવામાં આવી હતી, ત્યાર બાદ મહામંત્ર પોથીનું પૂજન પણ કરવામાં આવ્યું હતું. વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન ડૉ. સંતવલ્લ્ભદાસજી સ્વામી સહિત પૂ. લાલજી મહારાજ, ભજનાનંદી સ્વામી સહિત 40થી વધુ સંતો અને પાર્ષદોએ પૂજન-અભિષેક અને મંત્ર લેખનનો ધર્મલાભ લીધો હતો.

સંતવલ્લ્ભદાસજી સ્વામીએ મહામંત્રનો મહિમા સમજાવ્યો
ચેરમેન ડૉ. સંતવલ્લ્ભદાસજી સ્વામીએ મહામંત્રનો મહિમા સમજાવતાં જણાવ્યું હતું કે, મહામંત્રને હજુ માત્ર 224 વર્ષ થયા છે, પણ આજે તે દરેક દેશમાં મંદિરોના નિર્માણ સાથે સ્વામિનારાયણની ધજા ફરકાવી રહ્યો છે. તેમણે સૌ હરિભક્તોને મહામંત્રનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

વડતાલધામની અખંડ ધૂનનો અપૂર્વ રેકોર્ડ
શ્યામવલ્લભ સ્વામીએ વડતાલધામમાં ચાલતી કાયમી અખંડ ધૂનનો ઉલ્લેખ કર્યો હતો, જેનો પ્રારંભ આજથી 19 વર્ષ પહેલા 7 ઓક્ટોબર 2006 (આસો સુદ પૂનમ)ના રોજ સવારે 8 કલાકે થયો હતો.
અખંડ ધૂનના કુલ દિવસ 7003 દિવસ
- અખંડ ધૂનના કુલ કલાક 1,68,072 કલાક
- ઓનલાઈન મહામંત્ર લેખનનો સમયગાળો 9 વર્ષ, 11 માસ, 27 દિવસ
- કુલ મંત્ર લેખન (સંતો/ભક્તો દ્વારા) 5,00,04,423
- હરિભક્તો દ્વારા અંકિત થયેલા મંત્રો 1, 12,83,27,000
આ પણ વાંચો: દિવ્યાંગતા પર જુસ્સો ભારે: એક હાથે બેટિંગ-બોલિંગ, પંચમહાલના ત્રણ યુવાને ‘સ્પેશિયલ ખેલ મહાકુંભ’માં મેદાન ગજવ્યું
મહામંત્ર પ્રાગટ્યનો પરિચય
શ્રી સ્વામિનારાયણ મહામંત્રનો ઇતિહાસ સમજાવતાં જણાવાયું હતું કે, ફરેણી ગામે સંવત 1858માં માગશર વદ એકાદશીના રોજ સહજાનંદ સ્વામીની ધ્યાનસ્થ સભામાં આ મહામંત્રનું પ્રથમ ઉચ્ચારણ થયું હતું. આ દિવસથી જ સહજાનંદ સ્વામી ‘સ્વામિનારાયણ ભગવાન’ના નામથી પ્રસિદ્ધિ પામ્યા હતા અને સંપ્રદાય પણ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે જાહેર થયો હતો. સમગ્ર ઉત્સવનું સફળ આયોજન ચેરમેન ડૉ. સંતવલ્લભ સ્વામી, કો. દેવપ્રકાશ સ્વામી અને પૂ. શ્યામવલ્લભ સ્વામીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.










