![]()
Vadodara : વડોદરાના મકરપુરામાં જીઆઇડીસી આવેલી છે. આ જીઆઇડીસી વિસ્તારમાં મોટા ભાગે એન્જિનિયરીંગ ક્ષેત્રે કામ કરતી કંપનીઓ આવેલી છે. તાજેતરમાં મકરપુરા જીઆઇડીસી વિસ્તાર નજીકથી પસાર થતી વરસાદી કાંસમાં જાંબુડીયા કલરનું રંગીન પાણી વહેતું જોવા મળ્યું હતું. જેને પગલે ઉદ્યોગો દ્વારા પ્રદુષિત કચરાનો કાંસમાં નિકાલ કરી દીધો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ચોમાસાની ઋતુનો ફાયદો ઉદ્યોગો વધારે સારી રીતે ઉઠાવતા હોય છે. સામાન્ય સંજોગોમાં ઉદ્યોગો દ્વારા પ્રદુષિત કચરાનો સરળતાથી નજીકની વરસાદી ચેનલ અથવા તો અન્ય કોઇ માધ્યમમાં કરી દેવામાં આવતો હોય છે. આ પ્રકારનો સિલસિલો વર્ષોથી ચાલતો આવે છે. પરંતુ વહીવટી તંત્ર પાસે ઉદ્યોગોની આ પ્રકારની જોહુકમી રોકવા માટે કોઇ નક્કર ઉપાય નથી. જેને પગલે ખાસ કરીને દર ચોમાસામાં ઉદ્યોગો બેફામ બનતા રહે છે. તાજેતરમાં વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી વરસાદી કાંસમાં જાંબુડિયા કલરનું પ્રવાહી વહી રહ્યું હોવાનું જોવા મળ્યું હતું. આ પાછળ કોઇ ઉદ્યોગ દ્વારા કેમિકલ યુક્ત પ્રદુષિત કચરાનો નિકાલ કરવામાં આવ્યો હોવાની આશંકા પ્રબળ બની છે. આ સ્થળ નજીક જ મકરપુરા જીઆઇડીસી આવેલી છે. આ જીઆઇડીસીમાં નાના-મોટા એન્જિનિયરીંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગો આવેલા છે. તેમાંથી જ કોઇકે પ્રદુષિત કચરાનો નિકાલ વરસાદી ચેનલમાં કર્યો હોવાની લોકચર્ચાઓએ જોર પકડ્યું છે. આ પહેલો કિસ્સો નથી, અગાઉ નંદેસરી જીઆઇડીસી પાસે આવેલી મીની નદીમાં લાલ રંગનું પ્રવાહી વહેતું જોવા મળ્યું હતું. દર ચોમાસામાં ઉદ્યોગો બેફિકર બનીને પ્રદુષિત કચરાનો નિકાલ કરી દે છે. હવે વરસાદી ચેનલમાં વહેતા પ્રવાહીનો રંગ આવો કેમ છે, અને તે કોઇક રીતે પર્યાવરણને જોખમી છે કે કેમ તે જાણવા, તથા તેના મૂળ સ્ત્રોત સુધી પહોંચવામાં જીપીસીબીને કેટલી સફળતા મળે છે તે જેવું રહ્યું.










