![]()
Vadodara Accident: વડોદરા નજીક આસોજ ગામની સીમમાં શ્રમજીવી પરિવારની બે વર્ષની દીકરીનું પીકઅપ વાનની અડફેટે કચડાઇ જવાથી કરૂણ મોત નિપજ્યું છે. આ સાથે વાઘોડિયા તાલુકામાં પણ રિક્ષા ઝાડ સાથે અથડાતા એક વ્યક્તિનું મોત થયું છે.
આ પણ વાંચોઃ વડોદરામાં આવાસના મકાનો માટે 2022માં પ્રત્યેક અરજદાર પાસેથી રૂ.20,000 ભરાવાયા : EWSના મકાનો નહીં મળતા વિવાદ
આસોજમાં બે વર્ષની બાળકીનું કચડાઈ જવાથી મોત
મળતી માહિતી મુજબ, દાહોદ જિલ્લાના લીલર ગામના વતની દિલીપ રાઠવા હાલમાં આસોજ ગામની સીમમાં એરો બિલ્ડકોનની સામે આવેલી ખુલ્લી જગ્યામાં રહે છે અને કંપનીમાં મજૂરી કામ કરે છે. ગુરૂવારે (11 ડિસેમ્બર) સાંજે 7 વાગ્યે દિલીપભાઈ મજૂરી કામ પૂરું કરીને ઘરે આવ્યા હતા. તેમની પત્ની રસોઈ બનાવતી હતી અને તેમની બે વર્ષની દીકરી ઘરની બહાર રમી રહી હતી. આ દરમિયાન પૂરઝડપે આવેલી પીકઅપ વાનના ચાલકે માસૂમ બાળકી પર વાન ચઢાવી દેતા તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને સ્થળ પર જ તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જીને ભાગી ગયેલા પીકઅપ વાનના ચાલક સામે મંજુસર પોલીસે ગુનો દાખલ કરીને તેની શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ VCEને હવે કામગીરીના યુનિટ દીઠ ઓછામાં ઓછા રૂ. 20 મળશે, મહેનતાણામાં સમાનતા લાવવા સરકારનો નિર્ણય
વાઘોડિયામાં રિક્ષા ઝાડ સાથે અથડાતા એકનું મોત
બીજી બાજું, વાઘોડિયા તાલુકામાં અન્ય એક માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. તુસીયાભાઈ નાયક તેમની સંબંધી રમીબેન ઉર્ફે રેખાબેન નાયક સાથે કાઠિયાવાડ મજૂરી કામ માટે ગયા હતા. બાકરોલ ગામ વસાહત પાસે સંબંધીનું મોત થતા તેઓ ત્યાં જવા નીકળ્યા હતા, પરંતુ રાત્રે મોડું થતા રામેશ્વરપુરા ગામ વસાહતમાં સંબંધીના ઘરે રોકાઈ ગયા હતા. બીજા દિવસે સવારે તેઓ રિક્ષામાં બેસીને વાઘોડિયા આવવા નીકળ્યા હતા. મોટા ભરડા ગામ પાસેથી પસાર થતા સમયે રિક્ષા ચાલક લાલજી ભીખાભાઇ વસાવાએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો અને રિક્ષા રોડની સાઇડ પરના લીમડાના ઝાડ સાથે ધડાકાભેર અથડાઇને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં તુસીયાભાઈને ગંભીર ઈજા થતા તેમનું મોત થયું હતું, જ્યારે રમીબેનને સામાન્ય ઈજા થઈ હતી. રિક્ષા ચાલક લાલજી વસાવાને પણ ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મંજુસર અને વાઘોડિયા પોલીસ દ્વારા બંને અકસ્માતો અંગે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.










