![]()
કરદાતાઓ રિટર્નમાં સુધારો નહિ કરે તો તેમની સામે કાયદાકીય જોગવાઈ મુજબ તપાસ કરીને આકરાં દંડની કાર્યવાહી કરવામાં આવશે
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, ગુરૃવાર
ભારતીય નાગરિક હોય અને વિદેશની મિલકતોમાં રોકાણ કરીને તેના થકી થતી આવક જાહેર ન કરીને કરચોરી કરનારા કરદાતાઓને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસએ ચેતવણી આપી છે. આવતીકાલ ૨૮મી નવેમ્બરથી નોટિસ મોકલવાનું ચાલુ કરશે. તેમ જ તેમણે વિદેશની મિલકતોમાં રોકાણ કર્યું હોય અને આવકવેરાના રિટર્નમાં ન બતાવ્યું હોય તો ૩૧મી ડિસેમ્બર સુધીમાં વિદેશી મિલકતોની વિગતો સાથેનું તેમનું સુધારેલું રિટર્ન ફાઈલ કરી દેવાની ચેતવણી પણ આપી જ દેવામાં આવી છે. અન્યથા તેમની પાસેથી દંડ સહિતનો વેરો વસૂલવામાં આવશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે ૨૭મી નવેમ્બરે બહાર પાડેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે તેમણે હાઈ રિસ્ક કરદાતાઓની એક વિશિષ્ટ યાદી તૈયાર કરી છે. આ યાદીમાં સમાવવામાં આવેલા ભારતીય કરદાતાઓએ વિદેશમાં મિલકતોમાં કે અસ્ક્યામતોમાં જંગી રોકાણ કરેલું છે. પરંતુ આ રોકાણની વિગતો અને તેના થકી થતી આવકની વિગતો તેમના આવકવેરાના રિટર્નમાં દર્શાવવામાં આવી નથી.
આમ તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે ૧૭મી નવેમ્બર ૨૦૨૪ના નોન ઇન્ટ્રુઝિવ યુસેજ ઓફ ડેટા ટુ ગાઈડ એનેબલ્ડ-નડ્જના નામ હેઠળ કરેલી પહેલમાં ઓટોમેટિક એક્સચેન્જ ઇન્ફોર્મેશનમા્ં તેમને ૨૦૨૪-૨૫ના વર્ષમાં મળેલી વિગતો મુજબ ૨૪,૬૭૮ કરદાતાઓને ચેતવણી આપ્યા પછી તેમણે તેમના રિટર્ન સુધારીને ૨૯,૨૦૮ કરોડની મિલકતોની જાહેરાત કરી હતી. તદુપરાંત વિદેશી સ્ત્રોત થકી થયેલી રૃ. ૧૦૮૯.૮૮ કરડની આવક પણ જાહેર કરી હતી.
આ વરસે મળેલી માહિતીને આધારે ૨૮મી નવેમ્બરથી આ કેટેગરીમાં આવતા કરદાતાઓને નોટિસો મોકલીને ચેતવણી આપવાનું ચાલુ કરી દેવામાં આવશે. આ કેટેગરીમાં આવતા કરદાતાઓને તેમનું સુધારેલું રિટર્ન ૩૧મી ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં ફાઈલ કરી દેવાની સૂચના આપવામાં આવશે. કરદાતા ૩૧મી ડિસેમ્બર સુધીમાં સુધારેલું રિટર્ન ફાઈલ નહિ કરે તો તેવા સંજોગોમાં તેમને આકરો દંડ કરવામાં આવશે.
ફોરેન એકાઉન્ટ ટેક્સ કોમ્પ્લાયન્સ એક્ટ હેઠળ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસને અન્ય દેશના આવકવેરા વિભાગ તરફથી કોમન રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડની વ્યવસ્થા હેઠળ માહિતી મળ્યા જ કરે છે. તેની મદદથી વિદેશમાં રોકાણ કરીને ભારતમાં ભરવામાં આવેલા આવકવેરાના રિટર્નમાં ન દર્શાવેલી મિલકતોની માહિતી મળી જાય છે. તેથી આ કેટગરીમાં આવતા કરદાતાઓને સમયસર તેમના રિટર્ન સુધારી લેવાની ચેતવણી આપવામાં આવે છે.
આ કરદાતાઓ અમેરિકા અને દુબઈ જેવા દેશોમાં મિલકતો ખરીદવામાં મોટું રોકાણ કરે છે. આ રોકાણની વિગતો તેમના આવકવેરાના રિટર્નમાં દર્શાવતા જ નથી. તેમ જ તેના થકી થતી આવક પણ આવકવેરાના રિટર્નમાં દર્શાવતા જ નથી. આ રીતે તેઓ મોટી રકમની કરચોરી કરી રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો વિદેશની મિલકતોમાં કરેલું રોકાણ છુપાવે છે અને તેના થકી થતી આવક પણ છુપાવીને કરચોરી કરી રહ્યા છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે ૨૦૨૫ના આવકવેરા રિટર્ન ફાઇલીંગ સિઝનમાં હાઈ-રિસ્ક કેટેગરીમાં આવનારા ટેક્સપેયર્સને એલર્ટ મેસેજ મોકલવામાં આવશે, જેથી તેઓ રિટર્ન ફરી તપાસી શકશે. તેમ જ રિટર્નમાં સુધારો પણ કરી શકશે. તેમને રિટર્નમાં સુધારો કરવાની ૩૧મી ડિસેમ્બર સુધીની મહેતલ આપવામાં આવેલી છે. આ રીતે કરદાતાઓ ભારે દંડ અથવા પ્રોસિક્યુશનથી બચી શકશે.
કેટલાક ટેક્સપેયર્સે વિદેશી બેંક એકાઉન્ટ, શેર, પ્રોપર્ટી અથવા અન્ય નાણાકીય સંપત્તિ વિદેશમાં ધરાવે છે, પરંતુ તેની જાહેરાત કરી જ નથી. બીજું, કરચોરી કરવા માટે માહિતી છુપાવવાને પરિણામે તે કરદાતાઓને આકરો દંડ થવાની શક્યતા ઉપરાત તેમની સામે કોર્ટ કેસની કાર્યવાહી થવાનો ખતરો રહેલો છે. બ્લેક મની અધિનિયમ અને આવકવેરા અધિનિયમ હેઠળ વિદેશી સંપત્તિ છુપાવવાની સજા ખૂબ જ ગંભીર છે.
ટેક્સપેયર્સને શું કરવું જોઈએ?
તેથી જ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસએ સલાહ આપી છે કે આ કેટગરીમાં આવતા કરદાતાઓએ પોતાના આવકવેરાના રિટર્નની સંપૂર્ણ સમીક્ષા કરી લેવી જોઈએ. તેમ જ વિદેશી એસેટ્સ તથા ઈન્કમ સાચી રીતે દર્શાવી દેવી જોઈએ. કરદાતાને જરૃર જણાય તો તેમણે સુધારેલું રિટર્ન ફાઇલ કરી દેવું જોઈએ. આ બાબત અંગે આવકવેરા ખાતાના અધિકારીઓમાં ગેરસમજ ન થાય તે માટે તેને લગતા દસ્તાવેજો પણ રજૂ કરી દેવા જોઈએ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસએ કહ્યું છે કે આ પગલું ટેક્સપેયર્સને કાયદેસરની રીતે અનુરૃપ રહેવામાં મદદ કરવા અને અનાવશ્યક દંડ ટાળવા માટે છે.










