![]()
દહેગામના દેવકરણના મુવાડામાં બંધ મકાનમાં ચોરી
મકાનના તાળા તોડીને તસ્કરો સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરીને ફરાર ઃ પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ વધી રહ્યો છે ત્યારે દહેગામના
દેવકરણના મુવાડા ગામનું દંપતી ઘરને તાળું મારીને અમદાવાદ પુત્રના ઘરે ગયું હતું તે
દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને તેના તાળા તોડી રોકડ રકમ અને દાગીના
મળીને ૧૦.૨૭ લાખની ચોરી લીધી હતી. જે સંદર્ભે દહેગામ પોલીસે ગુનો દાખલ કરી તપાસ
શરૃ કરી છે.
પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ
વધી રહી છે ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોનો તરખાટ શરૃ થયો છે. દહેગામના
દેવકરણના મુવાડા ગામમાં રહેતા અને અહીં વાસણની દુકાન ચલાવતા વૃદ્ધ છીતરમલ નાથુલાલ
સોમાનીએ ફરિયાદ નોંધાવી હતી કે,
ગત એક સપ્ટેમ્બરના રોજ તેમનું ઘર બંધ કરીને તેઓ અમદાવાદ વાલ ખાતે રહેતા તેમના
પુત્રના ઘરે ગયા હતા તે અને તેમની પત્ની અહીં રહેતા હતા. તે દરમિયાન ગઈકાલે સવારના
સમયે તેમના ગામના સુરેશકુમાર જૈનનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તમારા ઘરની
જાળી ખુલ્લી છે અને મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું છે. જેના પગલે તે અને તેમની
પત્ની તેમજ દીકરો ચિંતન દેવકરણના મુવાડા ખાતેના ઘરે પરત ફર્યા હતા. જ્યાં ઘરમાં
જોતા જાળીને નકુચો તૂટેલી હાલતમાં હતો અને મુખ્ય દરવાજાનું તાળું પણ તૂટેલું હતું.
ઘરમાં તપાસ કરતા સામાન વેર વિખેર હાલતમાં હતો અને તિજોરીનું તાળું તોડી નાખવામાં
આવ્યું હતું. જેમાંથી ૭૨ હજાર રૃપિયા રોકડા અને ૯.૫૦ લાખ રૃપિયાના સોના ચાંદીના
દાગીના ચોરી લેવામાં આવ્યા હતા. જેથી તેમણે આ સંદર્ભે દહેગામ પોલીસને જાણ કરતા
પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરીને અજાણ્યા તસ્કરોને પકડી પડવા
માટે દોડધામ શરૃ કરી છે. ગ્રામ્ય વિસ્તારમાં વધેલી ઘરફોડ ચોરીને પગલે સ્થાનિકોમાં
રીતસરનો ફફડાટ ફેલાયો છે.










