![]()
– ગેરકાયદે શેડ અને પાર્કિંગ મામલે
– ગેરકાયદે પરવાનગી આપી દેવાની તંત્રની પદ્ધતિ અમલમાં આવશે તેવી લોક ચર્ચાઓએ જોર પકડયું
નડિયાદ : નડિયાદના કોલેજ રોડ પર આવેલા શીતવંદન કોમ્પ્લેક્સમાં બિલ્ડર દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ અને પાર્કિંગના વ્યવસાયિક ઉપયોગ મામલે નડિયાદ મહાનગરપાલિકાએ આખરી નોટિસ ફટકારી છે. જોકે, આ નોટિસ માત્ર દેખાડો હોવાનું અને આગામી સમયમાં સીલિંગની કામગીરી કર્યા બાદ બંધ બારણે સેટલમેન્ટ કરીને ગેરકાયદે પરવાનગી આપી દેવાની તંત્રની જૂની પદ્ધતિ અમલમાં આવશે તેવી લોકચર્ચાઓએ જોર પકડયું છે.
નડિયાદ શહેરના મધ્યમાં આવેલા શીતવંદન કોમ્પ્લેક્સમાં બિલ્ડર દ્વારા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને ગેરકાયદે બાંધકામ ખડકી દેવામાં આવ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યાં હતા. આ મામલે મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ અને ડેપ્યુટી કમિશનર દ્વારા લાંબા સમયના મૌન બાદ હવે નોટિસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આક્ષેપો અનુસાર, કોમ્પ્લેક્સ ૫, ૬ અને ૭મા માળ પર મહાનગરપાલિકાની મંજૂરી વિના જ બાંધકામ કરી દેવાયું છે. એટલું જ નહીં, બેઝમેન્ટમાં પાર્કિંગની જગ્યામાં પાર્ટીશન કરીને તેનો વ્યવસાયિક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને સાતમા માળે સ્ટીલ ફ્રેમનું ગેરકાયદે સ્ટ્રક્ચર પણ ઊભું કરી દેવામાં આવ્યું છે.
શહેરમાં ચાલતી ચર્ચાઓ મુજબ, મહાનગરપાલિકાના અધિકારીઓ અને બિલ્ડર વચ્ચે અંદરખાને મજબૂત સાંઠગાંઠ હોવાનું જણાય છે. જ્યારે પણ કોઈ ગેરકાયદે બાંધકામનો વિવાદ વકરે ત્યારે તંત્ર દ્વારા સમય પસાર કરવા માટે ૨-૩ નોટિસો આપવામાં આવે છે અને ત્યારબાદ સીલિંગની કામગીરીનો ડોળ કરવામાં આવે છે. શીતવંદન કોમ્પ્લેક્સના કિસ્સામાં પણ આજે સીલિંગની કામગીરી થવાની સંભાવના છે, પરંતુ તે બાંધકામ દૂર કરવા માટે નહીં પણ માત્ર વિરોધ દબાવવા માટેનું એક હથિયાર હોવાનું મનાય છે. આ સમગ્ર પ્રકરણમાં રહીશોએ રાજ્યપાલ અને કલેક્ટર સુધી રજૂઆતો કરી હોવા છતાં સ્થાનિક તંત્રની ઢીલી નીતિ હોવાની ચર્ચાઓ ઉઠી છે.










