![]()
વડોદરાઃ વડાપ્રધાન મોદીએ તાજેતરમાં વડોદરામાં સરદારધામના લોકાર્પણ કાર્યક્રમમાં પેટ્રોલ- ડિઝલનો ઉપયોગ શક્ય હોય તો ઓછો કરવા માટે કરેલી અપીલ બાદ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ પણ યુનિવર્સિટીના સ્ટાફ માટે એક ગાઈડલાઈન જાહેર કરી છે અને એનર્જી સેવિંગ માટે અપીલ કરી છે.
મળતી વિગતો પ્રમાણે તમામ ફેકલ્ટી ડીનોને રજિસ્ટ્રાર દ્વારા પાઠવવામાં આવેલા પરિપત્રમાં શક્ય હોય ત્યાં એક કારમાં એક થી વધારે લોકોને બેસાડવા માટે, પબ્લિક ટ્રાન્સપોર્ટ કે સાયકલનો ઉપયોગ કરવા માટે અને સપ્તાહમાં એક દિવસ નો મોટર વ્હીકલ ડે તરીકે ઉજવવા માટે સૂચન કર્યુ છે.સાથે સાથે બીનજરુરી મુસાફરી નહીં કરવાની અને શક્ય હોય તો ઓનલાઈન બેઠકો યોજવા માટે, ઓફિસોમાં અને ક્લાસરુમમાં લાઈટ, પંખા ,એસી અને કોમ્પ્યુટર બીન જરુરી ચાલુ ના રહે તે જોવા માટે તાકીદ કરી છે.ફેકલ્ટીઓને પેટ્રોલ ડિઝલ અને વીજળીની બચત માટે વિદ્યાર્થીઓમાં પણ જાગૃતિ લાવવાના પ્રયાસો કરવાની સલાહ અપાઈ છે.










