![]()
– ધરોઈ અને સંત સરોવરમાંથી પાણી છોડાતા સાબરમતી છલોછલ
– દસ્ક્રોઈ- ધોળકા તાલુકાના નદીકાંઠા વિસ્તારના ખેતરો, જાહેર માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા નુકસાન
ધોળકા : ધરોઈ અને સંત સરોવરમાંથી પાણી છોડાતા સાબરમતી છલોછલ થઇ બે કાંઠે વહેતી થઇ છે. સાબરમતી નદીના નીર વૌઠા સપ્તનદી સંગમ સ્થળ થઈ ખંભાતના અખાતમાં પહોંચ્યું છે. દસ્ક્રોઈ- ધોળકા તાલુકાના નદીકાંઠા વિસ્તારના ખેતરો, જાહેર માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તારાપુર, ખંભાત, દસ્ક્રોઇ અને ધોળકા તાલુકાના નદી કાંઠાના ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.
ઉત્તર ગુજરાતમાં થયેલા ભારે વરસાદના કારણે ધરોઈ ડેમ અને સંત સરોવર ડેમમાંથી સાબરમતી નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ધરોઈ ડેમના ત્રણ દરવાજા ૧૦ ફૂટ ખોલીને ૩૮,૯૭૬ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, ગાંધીનગરના સંત સરોવરમાંથી પણ ૯૬,૨૪૩ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
સાબરમતી નદીમાં વધી રહેલા પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા માટે અમદાવાદના વાસણા બેરેજના તમામ ૨૫ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને ૬૪,૮૩૧ ક્યુસેક પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તારાપુર, ખંભાત, દસ્ક્રોઇ અને ધોળકા તાલુકાના નદી કાંઠાના ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. નદીના ધસમસતાં પ્રવાહથી દસ્ક્રોઈ અને ધોળકા તાલુકાના નદીકાંઠા વિસ્તારમાં આવતા ખેતરો, જાહેર માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. જેથી કાંઠાની નજીક આવેલા ખેતરોમાં મોટા પાયે પાક અને જમીન ધોવાણ થતાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. વૌઠા ખાતે સાત નદીઓના સંગમ થાય છે, જે આગળ જઈ ખંભાતના અખાતને મળે છે. તેના કારણે કાંઠા નજીકના ખેતરોના પાકો અને જમીન ધોવાણથી ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.










