![]()
ચેરમેન સામે આક્ષેપ બાદ ડિરેક્ટરને વકીલ મારફત નોટિસ : ડિરેક્ટરે ડેરીની અનેક શંકાસ્પદ બાબતોની વિગતો માંગી પડકાર ફેંક્યો કે જવાબ આપો નહીતર ભાજપની વિચારધારાવાળા લોકો માફ નહીં કરે
જૂનાગઢ, : ભાજપ શાસિત સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા સામે થોડા સમય પહેલા તેમની જ ડેરીના ડિરેક્ટરે આક્ષેપો કર્યા હતા તે મુદ્દે ચેરમેને ડિરેક્ટરને વકીલ મારફત નોટિસ આપી અને સામે પક્ષે ડિરેક્ટરે પણ ચેરમેન પાસે અનેક વહીવટી જવાબો માંગ્યા તેનાથી મામલો ગરમાયો છે. ડિરેક્ટરે પોતાને વકીલની ફી પરવડે તેમ ન હોવાથી જાતે જ જવાબ માંગી ચેરમેનને મુંઝવણમાં મુકી દીધા છે. ભાજપના જ બંને આગેવાનો સામસામે થઈ જતા રાજકારણ ગરમાયું છે.
છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેતી સાવજ ડેરી મુદ્દે ચેરમેન અને ડિરેક્ટર વધુ એકવાર સામસામે થઈ ગયા છે. ડેરીના ડિરેક્ટર રાજુભાઈ બોરખતરીયાએ થોડા દિવસ પહેલા ચેરમેન સામે આક્ષેપ કર્યા હતા તે અંગે ચેરમેને વકીલ મારફત નોટિસ મોકલી છે. તેના જવાબમાં ડિરેક્ટરે ચેરમેનને કહ્યું કે, આ અંગે મને પુરક માહિતી આપવી જેથી માફી માંગવી કે કાનુની કાર્યવાહી કરવી તે વિચારી શકું. જેમાં સુચિત મંડળીઓ અને મંડળીઓની યાદી, સસ્પેન્ડેડ ડિરેક્ટરોની વિગતો, ત્રણ વર્ષમાં દૂધ સંઘને ફેટદીઠ કેટલું ડિવિડન્ડ ચુકવવામાં આવ્યું તેની વિગત, કાર્યક્ષેત્રની મંડળીઓના નામ-સરનામા સાથે મંડળીઓ દ્વારા કલેક્શન કરવામાં આવતા દૂધની વિગતો, દૂધ કલેક્શન માટેની મંડળીઓએ 1 એપ્રિલથી 31 ઓગસ્ટ સુધી કેટલા લિટર દૂધ બીએમસીમાં જમા કરાવ્યું, દૂધ મંડળીઓનું ચુકવણું બેંક દ્વારા રોકડું કે કઈ રીતે કરવામાં આવે છે તેની વિગત, પશુપાલકોને કઈ રીતે ચુકવણું થાય છે, તમારા પરિવારના કિરણબેન ડાંગર(ક્વોલિટી મેનેજર સાવજ ડેરી) ઉચ્ચ હોદ્દા પર લાખોનો પગાર મેળવે છે તેમની કોઈપણ ડિગ્રી ડેરી અથવા મિલ્ક પ્રોસેસિંગ સાથે કે મિલ્ક માર્કેટીંગ સાથે મેચ થયેલ નથી તે અંગેનો યોગ્ય જવાબ, તમે જે કાનુની કાર્યવાહી કરવા માંગો છો તેનો ખર્ચ દુધ સંઘ ભોગવશે કે કેમ તેનો જવાબ માંગ્યો છે. જો ચેરમેન તરીકે તમે જવાબ નહી આપો તો ભાજપ પાર્ટીના વિચારધારાના લોકો આપને ક્યારેય માફ નહી કરે તેવો નોટિસનો વળતો જવાબ આપતા આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. આમ, જૂનાગઢ જીલ્લામાં વધુ એકવાર ભાજપના જ બંને આગેવાનો સામસામે થઈ ગયા છે.










