![]()
વડોદરા : ટ્રેનોમાં ઘાડ, રેલ્વે સંપત્તિની ચોરી, મુસાફરોના
પર્સ ખેંચવા, ગૌમાંસની હેરાફેરી અને રાજ્યસેવકો પર હુમલા
કરવા સહિતના ૩૦થી વધુ ગુનાઓ આચરનારી ગોધરાની સિગ્નલ ફળીયા ગેંગના સાગરીત સુલતાન
ખાલપાની જામીન અરજી અદાલતે નામંજૂર કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે,
આરોપીનો ભૂતકાળ જોતા તે વારંવાર ગુનો કરવાની ટેવવાળો છે ત્યારે
ગુનાની ગંભીરતા અને સામાજિક શાંતિને ધ્યાને રાખીને જામીન આપવા માટે આ યોગ્ય કેસ
નથી.
કેસની વિગત એવી છે કે, વારંવાર ગુનાઓ આચરતી સિગ્નલ ફળીયા ગેંગના છ
સાગરીતો સામે રેલવે પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી હતી.હાલ જેલમાં રહેલા
આરોપી સુલતાન નિશાર ખાલપાએ જામીન અરજી
મૂકતા તેની સુનાવણીમાં તપાસ અધિકારીએ રજૂ કરેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું હતું
કે,આરોપી સુલતાન ખાલપા વિરુદ્ધ ૭ ગુનાઓ નોંધાયેલા છે, જેમાંથી
૦૫ ગુનાઓ તેણે ગેંગના સભ્યો સાથે મળીને આચર્યા છે.
જ્યારે સ્પેશ્યલ સરકારી વકીલ રઘુવીર પંડયાએ રજૂઆત કરી હતી કે, આરોપી
રીઢો ગુનેગાર છે અને અગાઉ રેલ્વે ચોરીના કેસમાં તેને સજા પણ થયેલી છે. તેમ છતાં
તેની ગુનાહિત પ્રવૃત્તિ સતત ચાલુ રહી છે. જો
તેને જામીન આપવામાં આવે તો તે ફરીથી આવા જ ગુનાઓ આચરશે અને સમાજમાં ખોટો સંદેશ
જશે.ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ અરજદારની અરજી નામંજૂર કરી હતી.










