![]()
– જગતનો તાત લાચાર : પાકમાં 100 ટકા નુકશાન તો પછી સરવેનું નાટક શા માટે ?
– ખેડૂતોના ખાતામાં સીધી જ સહાયની રકમ જમા કરો, કૃષિ ધિરાણ માફ કરવા ધરતીપુત્રોમાં એકસૂરે અવાજ ઉઠયો
સિહોર : ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ખાંભા ગામે ધરતીપુત્રોએ મગફળીનો હવન કરી સરકારને સદ્બુદ્ધિ મળે તેવી ભગવાન પાસે પ્રાર્થના કરી હતી.
સિહોર તાલુકામાં સતત વરસી રહેલા કમોસમી વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ રહેતા કપાસ, સરઘવો, મગફળી સહિતના પાકને નુકશાની થતાં જગતનો તાત લાચાર બની ગયો છે. કુદરતીની કારમી થપાટથી આર્થિક રીતે પાયમાલ બનેલા ખેડુઓએ સરકારના સરવેને નર્યું નાટક ગણાવ્યું છે. પાકમાં ૧૦૦ ટકા નુકશાની થયું છે, ત્યારે પાક સહાયની રકમ સીધી જ ખેડૂતોના ખાતામાં જમા કરવા તેમજ કૃષિ ધિરાણ માફ કરવા ધરતીપુત્રોમાં એકસૂરે અવાજ ઉઠયો હતો. ખેડૂતોએ રોષ સાથે વેદના ઠાવતા જણાવ્યું હતું કે, મૃત્યુ પામેલા માણસનું ઓપરેશન ન કરાઈ, તેમનો મરણનો દાખલો કાઢી આપવાનો હોય, અત્યારે માવઠાંના મારથી દરેક ખેડૂતના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાયો છે. ત્યારે સરવે કરવાના બદલે જલ્દીથી સહાયની રકમ ચૂકવવી જોઈએ. રવિ પાક માટે ખાતર-બિયારણ અને દવા લાવવાના પણ ખેડૂતો પાસે ફદિયા નથી રહ્યા. સરકાર જે સહાય આપવાની છે, તે વહેલી આપે તેવી જિલ્લાભરના ખેડૂતોએ માંગણી કરી હતી.
સિહોરમાં કોંગ્રેસના ધરણાં-સૂત્રોચ્ચાર
અતિવૃષ્ટિના કારણે પાકને સંપૂર્ણ નુકશાની થતાં ખેડૂતોનું દેવું-ધિરાણ માફ કરવાની માંગણી સાથે સિહોરના વડલા ચોકમાં સિહોર તાલુકા કોંગ્રેસે ધરણાંનો કાર્યક્રમ યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગી આગેવાનો-કાર્યકરોએ હાથમાં પ્લેકાર્ડ લઈ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ધરણાં પર બેઠેલા કોંગ્રેસના આગેવાનોને પોલીસે ડિટેઈન કર્યા હતા.










