![]()
Surat : કેટલીક ખામીઓ સાથે જન્મતા બાળકોમાં મેજર થેલેસેમિયાના દર્દીઓને દર પંદર દિવસે લોહી ચડાવવું પડે છે. જોકે, વિજ્ઞાને કરેલી સફળ શોધના કારણે આવા દર્દીઓ માટે એક માત્ર વિકલ્પ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ છે. પરંતુ તેનું ટેસ્ટિંગ અને ઓપરેશન ખર્ચાળ હોવાથી અનેક લોકો લાભ લઈ શકતા નથી. પરંતુ સુરતની કેટલીક સેવાભાવી સંસ્થાઓએ માનવ શરીરના કોષમાં હ્યુમન લ્યુકોસાઇટ એન્ટીજન(HLA) ટેસ્ટીંગ વિના મુલ્યે કરે છે. સુરતમાં વિના મુલ્યે ટેસ્ટીંગ, આંધ્રપ્રદેશના વેલ્લોરમાં વિના મૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં 9 દર્દીઓમાં સફળ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ થતા તેમને નવજીવન મળ્યું છે.
સુરતમાં અનેક થેલેસેમિયાથી પીડાતા દર્દીઓ છે આ દર્દીઓને દર પંદર દિવસે લોહી ચડાવવા પડે છે. આવા દર્દીઓ માટે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ એકમાત્ર કાયમી ઉપાય બહાર આવ્યો છે પરંતુ તેની જટીલ અને ખર્ચાળ પ્રક્રિયા હોવાથી ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓ આ સારવારથી દુર રહેતા હતા. પરંતુ સુરતના લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સહયોગથી માવતર ચેરીટેબલ. ટ્રસ્ટ દ્વારા આવા દર્દીઓની પીડા સમજીને વિના મુલ્યે HLA ટેસ્ટ શરૂ કર્યા છે.
જેના ભાગરૂપે જમનાબા ભવન વાલક પાટિયા ખાતે 11મો HLA ટેસ્ટિંગ ફ્રી મેડિકલ ટેસ્ટ રાખવામાં આવ્યો હતો. આ પહેલાં સંસ્થાઓ દ્વારા સમગ્ર ગુજરાતના બાળકોને કેમ્પમાં ટેસ્ટ કરાવવા માટે અપીલ કરવામાં આવી હતી. તેમાં ગુજરાતભરમાંથી આવેલા 172 વાલી ભાઈ-બહેનોએ બોનમેરો દાતા માટે સેમ્પલ આપ્યા હતા. આ ઉપરાંત 57 બાળકો જે થેલેસેમિયા મેજર દર્દથી પીડાય છે. તેઓના પણ સેમ્પલ કેમ્પમાં લેવામાં આવ્યા હતા. આ તમામ સેમ્પલ વિદેશના જર્મનીની લેબમાં મોકલી આપ્યા હતા.
આ સેમ્પલ મેચ થયા બાદ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે 25 લાખ રૂપિયાનો જંગી ખર્ચ થાય છે. પરંતુ આંધ્રપ્રદેશના વેલ્લોર ખાતે આવેલી સી.એમ.સી. હોસ્પિટલ દ્વારા આ ટ્રાન્સપ્લાન્ટની સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે. સુરતની જુદી-જુદી સેવાભાવી સંસ્થા અને આંધ્રપ્રદેશની હોસ્પિટલે સુરતના 8 જેટલા મેજર થેલેસેમિયાના દર્દીઓના બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરીને આવા બાળકોને કાયમી લોહી ચડાવવાની પ્રક્રિયાથી મુક્ત કર્યા છે. આજે જે કેમ્પ થયો છે તેમાં જે સેમ્પલ મેચ થશે તેવા દર્દીઓને સારવાર પણ આંધ્રપ્રદેશ કરવામાં આવશે તેવું અગ્રણીએ કહ્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન 80 જેટલા દર્દીઓને તપાસ કરી અને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી.










