![]()
India and USA Tension on 3 Indian Died : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ અને તણાવ વચ્ચે અમેરિકાની એક ક્રૂર સૈન્ય હરકત સામે ભારતે અત્યંત કડક અને આક્રમક વલણ અપનાવ્યું છે. ઓમાનની ખાડીમાં ભારતીય નાવિકો ધરાવતા તેલ ટેન્કર (જહાજ) પર અમેરિકા દ્વારા કરવામાં આવેલા ઘાતકી હુમલામાં 3 ભારતીય નાવિકોના મોત નીપજ્યા છે. આ ઘટનાને લઈને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે શનિવારે વહેલી સવારે જ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોને ફોન લગાવીને જોરદાર ઝાટકણી કાઢી છે. જયશંકરે સ્પષ્ટ અને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, સમંદરમાં વ્યાપારી જહાજો કે ભારતીય નાવિકો પરના આવા હુમલા કોઈપણ કિંમતે બર્દાશ્ત કરવામાં આવશે નહીં.
વહેલી સવારે ફોન કરીને યુએસ વિદેશ મંત્રીને લતાડ્યા
વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ કૂટનીતિક વાતચીત અંગે માહિતી આપતા જણાવ્યું કે, તેમણે અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોને સખત લહેજામાં કહ્યું છે કે કમર્શિયલ શિપિંગ (વ્યાપારી જહાજો) ને આ રીતે નિશાન બનાવવું બિલકુલ ન્યાયસંગત નથી. આંતરરાષ્ટ્રીય જળસીમામાં વ્યાપારી જહાજોની સુરક્ષા સાથે કોઈ સમજૂતી થઈ શકે નહીં.
અમેરિકાના હુમલાનો શિકાર બનેલું જહાજ અને મૃતક ભારતીયોની વિગત
ઓમાનની ખાડીમાં ‘પલાઉ’ (Palau) દેશનો ધ્વજ ધરાવતા તેલ ટેન્કર પર અમેરિકાએ સૈન્ય હુમલો કર્યો હતો. આ જહાજ પર 28 સભ્યોનો ક્રૂ (ચાલક દળ) હતો, જેમાં 24 ભારતીય અને 4 વિદેશી (2 પાકિસ્તાની, 1 રશિયન, 1 યુક્રેનિયન) નાગરિકો સામેલ હતા.
21 ભારતીયો સુરક્ષિત, 3 ના મોત: હુમલા બાદ તાત્કાલિક હાથ ધરાયેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં 21 ભારતીયોને સુરક્ષિત બચાવી લેવાયા હતા, જ્યારે શરૂઆતમાં લાપતા બનેલા 3 ભારતીય નાવિકોના મોતની પુષ્ટિ કેન્દ્રીય જહાજ પ્રધાન સર્બાનંદ સોનોવાલે કરી છે.
મૃતક નાવિકોની ઓળખ: શહીદ થયેલા ત્રણેય ભારતીયોની ઓળખ ડેક કેડેટ આદિત્ય શર્મા, એન્જિન ફિટર શિવાનંદ ચૌરસિયા (દેવરિયા, યુપી) અને ચીફ એન્જિનિયર પટનાલા સુરેશ તરીકે થઈ છે.
અમેરિકાએ હુમલો કર્યાની વાત સ્વીકારી; હોર્મુઝ સરહદે તણાવ ચરમસીમાએ
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે સ્વીકાર્યું છે કે તેમના દળોએ જ આ તેલ ટેન્કરને નિશાન બનાવ્યું હતું. અમેરિકાનો બચાવ એવો છે કે આ જહાજનો ચાલક દળ યુએસ નૌકાદળના નિર્દેશોનું પાલન કરી રહ્યો નહોતો. હાલ હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ની આસપાસ અમેરિકાની સૈન્ય હરકતોને કારણે વૈશ્વિક શિપિંગ પર ખૂબ જ ખરાબ અસર પડી રહી છે.
અમેરિકાના બેવડા વલણ પર ફિનલેન્ડમાં પણ ઉઠ્યા હતા સવાલો
બે દિવસ પહેલા જ ફિનલેન્ડના પ્રવાસે ગયેલા એસ. જયશંકરે રશિયા પાસેથી તેલ આયાતના મુદ્દે અમેરિકાની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે અમેરિકાને આડે હાથ લેતા કહ્યું હતું કે, અમેરિકા પોતે જ દોગલું વલણ અપનાવી રહ્યું છે અને તેને પોતાને જ ખબર નથી હોતી કે તેની નીતિ ક્યારે બદલાઈ જશે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે કોઈના પ્રભાવમાં આવ્યા વિના રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે.










