![]()
નવી દિલ્હી,10 નવેમ્બર,2025,સોમવાર
લાલ કિલ્લાના મેટ્રો સ્ટેશનના ગેટ નંબર ૧ ની નજીક કાર બ્લાસ્ટ થતા ૧૦ લોકોના મુત્યુ થયા છે. જયારે અનેક ઘાયલ થયા છે. કાર વિસ્ફોટ એટલો ભયંકર હતો કે આસપાસની અનેક કારના ફૂરચા ઉડી ગયા હતા. આ કોઇ આતંકવાદી કૃત્ય છે કે વિદેશી તત્વોનો હાથ તેની તપાસ થશે ત્યારે જ બહાર આવશે. સાંજે ૭ વાગ્યા આસપાસ થયેલા કાર બ્લાસ્ટ પછી દિલ્હી સહિતના દેશના ભાગોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દિલ્હીમાં બોંબ બ્લાસ્ટની ઘટનાઓ અગાઉ પણ બની છે તેના પર દ્વષ્ટીપાત કરીએ તો ૨૫ મે ૨૦૧૧માં દિલ્હીના હાઇકોર્ટ પાર્કિગમાં વિસ્ફોટ થવાથી ૧૧ લોકોના મોત થયા હતા. ૨૭ સપ્ટેમ્બર ૨૦૦૮માં મહેરોલીના ફલાવર માર્કેટમાં વિસ્ફોટ થયો હતો જેમાં ૩ ના મોત થયા હતા.૧૩ સપ્ટેમ્બર ૨૦૦૮માં કરોલબાગના ગફારમાર્કેટમાં કર્નોટ પ્લેસ અને ગ્રેટર કૈલાસમાં પાંચ વિસ્ફોટ થવાથી ૩૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ૨૯ ઓકટોબર ૨૦૦૫માં સરોજીની નાયડુ,પહાડગંજ અને ગોવિંદપુરીમાં ત્રણ વિસ્ફોટ થયા હતા જેમાં ૬૨ લોકોના મોત થયા હતા. ૨૨ મે ૨૦૦૫માં લિબર્ટી અને સત્યમ સિનેમા હોલમાં બે વિસ્ફોટ થયા જેમાં ૧ મુત્યુ થયું હતું.
૧૪ એપ્રિલ ૨૦૦૬માં જામા મસ્જિદમાં પ્રાંગણમાં વિસ્ફોટ થયો હતો. ૨૭ ફેબુ્રઆરી ૨૦૦૦માં પહાડગંજમાં વિસ્ફોટ થયો હતો. ૧૬ માર્ચ ૨૦૦૦માં સદર બજારમાં વિસ્ફોટ થયો હતો. ૧૮ જુન ૨૦૦૦માં લાલકિલ્લા પાસ બે શકિતશાળી વિસ્ફોટમાં ૨ ના મોત થયા હતા. ૩૦ ડિસેમ્બર ૧૯૯૭માં પંજાબી બાગ પાસે બોંબ વિસ્ફોટ થયો જેમાં ૪ ના મોત થયા હતા. ૧૯૯૭માં આ ઉપરાંત બોંબ બ્લાસ્ટની જુદી જુદી ૫ ઘટનાઓ બની હતી. ૨૫ મે ૧૯૯૬ના લાજપતનગર સેન્ટ્રલ માર્કેટમાં બોંબ વિસ્ફોટ થયા હતા જેમાં ૧૬ લોકોના મોત થયા હતા.










