![]()
નવી દિલ્હી : માર્ગ પરિવહન અને માર્ગ મંત્રાલયે ટુ-વ્હીલર કંપનીઓની વિનંતીને ફગાવી દીધી છે જેમાં આ કંપનીઓએ તમામ નવા ટુ-વ્હીલરમાં એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) ઇન્સ્ટોલ કરવાનો વિરોધ કરી તેને ફરજિયાત ન બનાવવાની માંગ કરવામાં આવી હતી, ૧ જાન્યુઆરી, ૨૦૨૬થી ૫૦ સીસીથી વધુ અથવા ૫૦ કિમી પ્રતિ કલાકથી વધુ ગતિ ધરાવતા તમામ નવા ટુ-વ્હીલરમાં એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) ઇન્સ્ટોલમેન્ટ ફરજિયાત છે.
જો આ ફેરફાર (ABS) લાગુ કરવામાં આવે છે, તો ટુ-વ્હીલર કંપનીઓએ તેમના વાહનોને સુરક્ષિત બનાવવા માટે વાર્ષિક લગભગ ૭,૩૦૦ કરોડ રૂપિયા વધુ ખર્ચ કરવા પડશે. ૧૨૫ સીસીથી ઓછી ક્ષમતા ધરાવતા તમામ ટુ-વ્હીલર અને ૧૧ kWhથી ઓછી ક્ષમતા ધરાવતા ઇલેક્ટ્રિક વાહનોમાં ABS ઇન્સ્ટોલ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
અગાઉ, ABS ફક્ત ૧૨૫ ccથી વધુ ક્ષમતાવાળા ટુ-વ્હીલર અને ૧૧ kWhથી વધુ ક્ષમતાવાળા ઇલેક્ટ્રિક વાહનો માટે ફરજિયાત હતું. જો આ નિયમ અમલમાં આવશે, તો ૧૨૫ ccથી ઓછી ક્ષમતાવાળા ટુ-વ્હીલરના ૭૭ ટકા વેચાણને અસર થશે.
કંપનીઓનું કહેવું છે કે આનાથી તેમના પર પ્રતિ વાહન ૩,૫૦૦-૬,૦૦૦ રૂપિયાનો વધારાનો બોજ પડશે (મોડેલ પર આધાર), જેનાથી તેમની પાસે કિંમતો વધારવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં.
મંત્રાલય દ્વારા આ સંદર્ભમાં ૨૩ જૂને માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી. પરંતુ કંપનીઓએ ફરિયાદ કરી હતી કે આનાથી ટુ-વ્હીલર વાહનોના ભાવમાં ભારે વધારો થશે, ખાસ કરીને એવા સમયે જ્યારે એકંદર બજાર પૂરતું ઝડપથી વિકાસ પામી રહ્યું નથી.ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને કારણે ABS ઇન્સ્ટોલ કરવું સરળ કાર્ય નહીં હોય કારણ કે તેમાં દુર્લભ ચુંબકોની પણ જરૂર પડશે, જે ચીન દ્વારા નિયંત્રિત છે. ચીને ૪ એપ્રિલથી ચુંબકોનો સપ્લાય બંધ કરી દીધો છે, જેના કારણે વિવિધ ક્ષેત્રોમાં વાહનોનું ઉત્પાદન જોખમમાં મુકાયું છે.










