![]()
– નાની સરખી જાણી જોઇને થતી ભુલ સંતાનો માટે શાપ બની જાય છે
– એક અભ્યાસમાં 3 કલાકથી વધુ સમય મોબાઇલ કે ટીવી સામે ગાળતા બાળકને ઓટીઝમની શક્યતા વધુ
ભાવનગર : હાલના ઝડપી યુગમાં માતા-પિતા પોતાના બાળક સાથે બેસીને વાત કરવાનો પણ સમય નથી જેથી આ બાળક મોબાઇલ તરફ આકર્ષાય છે. તો ક્યાંક આ ભુલ જાણી જોઇને પણ થાય છે જેના ભવિષ્યમાં આવનારા ગંભીર પરિણામો સમગ્ર પરિવારને સહન કરવા પડે છે. હાલના સમયમાં પાંચથી સોળ વર્ષ વચ્ચેના ૬૦ ટકા બાળકો મોબાઇલ ફોનના બંધાણી બન્યા હોવાનો સર્વે જણાયો છે જેને આઉટ ડોર કે ઇનડોર રમતો તરફ વાળવા જરૂરી બન્યા છે.
આઉટ ડોર અને ઇનડોરની ઘણી રમતો ગેમ્સ છે જે બાળકના વિકાસને ચાર ચાંદ લગાવી શકે છે. પરંતુ મોટાભાગના બાળકો વાલીની ભૂલના કારણે મોબાઇલનો શિકાર બની બેઠા છે. મોબાઇલની આડ અસર પણ ઘણા સર્વે થયા છે જેના પરિણામો ગંભીર આવ્યાના પણ દાખલા છે. પતિ-પત્ની કે સંબંધિઓને વાત કરવી હોય તો બાળકને મોબાઇલ પકડાવી દેવાય છે. બાળક જમતું ન હોય તો મોબાઇલ આપી દેવાય છે. જે વારંવાર બનતી ઘટના બાળકના માનસિક અને શારીરિક વિકાસ પર મોટી અસર કરતું હોય છે. મોબાઇલના ઉપયોગથી ૧૪ વર્ષથી નાના બાળકોમાં ઉંઘની ગુણવત્તા અને સમય બન્ને ઘટી જાય છે. ઓછી ઉંઘના કારણે એમની ઇમ્યુનિટી ઘટે છે. મોબાઇલના સતત ઉપયોગથી આંખો સુકાઇ જવી, માથુ દુઃખવું, ૩ વર્ષથી નાના બાળકોને નેત્ર પટલ પર અસર થવાની શક્યતા ૭૦ ટકા વધી જાય છે. તો ઘણા બાળકો હાલ ઇયરફોન વાપરતા થઇ ગયા છે જેનાથી કાનમાં ઇન્ફેક્શન થવાની સંભાવના છે. બાળક એકલું રમ્યા કરે, એકની એક પ્રવૃત્તિ વારંવાર કરે તેના રૂટીનમાં કોઇ ફેરફાર થાય તો ચીસો પાડે છે. માંડ બોલતા શીખ્યું હોય તો તે ભુલી જાય, આમ ૪ થી ૬ વર્ષના ૩૦૮ બાળકો ઉપર થયેલા એક અભ્યાસ મુજબ જે બાળકો ૩ કલાકથી વધારે સમય મોબાઇલ કે ટીવી સામે ગાળે છે તેમાંથી ૧૦ થી ૧૫ ટકા બાળકો ઓટીઝમ થવાની શક્યતા રહે છે. હાલના સમયે પાંચથી સોળ વર્ષની વચ્ચે લગભગ ૬૦ ટકા બાળકો મોબાઇલ ફોનના બંધાણી બની ગયા છે. બાળકોનો એટેન્શન સ્પાન ઘટી જાય છે. શાળામાં ધ્યાન ઘટવાથી ભણવા પર અસર થાય છે તો અન્ય એક સર્વેમાં ૬ થી ૧૬ વર્ષ વચ્ચે ૨ કલાકથી વધુ ફોન જોતા લગભગ ૧૭ ટકા બાળકો ભવિષ્યમાં મેદસ્વી બની જતા હોવાનું પણ તારણ નિકળ્યું છે.










