– ઘોઘા તાલુકાના ભુતેશ્વર ગામે
– મૃતકના પત્ની અને પુત્રી પર હુમલો કરી ઈજા પહોચાડી, ઘોઘા પોલીસ મથકના બે વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ
ભાવનગર : ઘોઘા તાલુકાના ભુતેશ્વર ગામે રહેતા અને જમવાની લાજ ચલાવતા યુવાનની લાજ પર આવેલા બે ઇસમને જમવા બાબતે બોલાચાલી થતા થઈ જતા ઉશ્કેરાયેલા બન્ને ઈસમે છરા અને લાકડાના ધોકાના ઘા ઝીંકી યુવાને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
ઘોઘા તાલુકાના ભુતેશ્વર ગામે રહેતા અને જમવાની લાજ ચલાવતા પિયુષભાઈ મંગાભાઈ કંટારીયા અને તેમના પત્ની મધુબેન પુત્રી પરિતાબેન ગઈકાલે રાત્રિના ૧૧.૦૦ વાગ્યાના સમયે ભૂતેશ્વર ગામની બસ સ્ટેન્ડ પાસે આવેલ બિચ્છુ નામની નોનવેજ લાજ પર હાજર હતા. તે દરમિયાન સુનિલ ઘેલાભાઈ કંટારીયા અને તેનો મિત્ર હાદક બટુકભાઈ કંટારીયા (રહે. બન્ને ભૂતેશ્વર, તા.ઘોઘા) જમવા માટે આવ્યા હતા. તેવામાં બન્ને ઇસમને પિયુષભાઈ સાથે બોલા ચાલી થઈ જતાં બન્ને ઈસમોએ પિયુષભાઈને ગાળો આપવા લાગ્યા હતા. પિયુષભાઈએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા બન્ને ઈસમે પિયુષભાઈ અને પત્ની મધુબેન તથા પુત્રી પરિતાબેને પર છરા અને લાકડાના ધોકા વડે માર માર્યો હતો. ઇજાગ્રસ્ત પતિ પત્ની સહિત ત્રણેયને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પિયુષભાઈનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકની પુત્રી પરિતાબેને બે ઇસમ વિરૂધ્ધ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.