Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં આગામી શ્રાવણ માસના 15 દિવસ માટેના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની ઓનલાઇન ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, અને આજે સૌ પ્રથમ પાંચ લાખથી વધુની રકમના હોય તેવા ઓનલાઈન ટેન્ડર ખોલવામાં આવ્યા હતા.
મશીન મનોરંજનના 6 પ્લોટ તેમજ આઈસ્ક્રીમ બુથના 2 પ્લોટ માટેની ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી, અને મેળાના ધંધાર્થીઓની હાજરીમાં આજે જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં ટેન્ડરો ખોલવામાં આવ્યા હતા. જેમાં મશીન મનોરંજનના મોટા પ્લોટ તથા આઈસ્ક્રીમ સહિત 8 પ્લોટ માટે મહાનગરપાલિકાને 94 લાખની આવક થઈ છે. બાકીના અન્ય નાના-મોટા પ્લોટ કે જેની હરરાજી ઓફલાઈન કરવામાં આવી છે, અને તેના ટેન્ડરો ભરાઈને આવી ગયા બાદ આગામી 24 મી તારીખે મહાનગરપાલિકાની કચેરીમાં ખોલવામાં આવશે, ત્યારબાદ શ્રાવણી મેળામાં મહાનગરપાલિકાને કુલ કેટલી આવક થાય છે તે જોવાનું રહેશે.