![]()
બહુમાળી ભવનમાં મજૂર અદાલતમાં વકીલરૂમમાં ડિજિટલ લાઇબ્રેરી વકીલોને કાગળના થોથાં ફંફોળવા નહીં પડે, રેફરન્સ માટેના ચુકાદાઓ સર્ચ કરી મેળવી શકાશે
રાજકોટ, : પ્રવર્તમાન સમય ટેકનોલોજીનો યુગ છે અને દિનપ્રતિદિન પેપરલેસ વર્ક તરફ વિશ્વ દોરાઇ રહ્યું છે ત્યારે રાજકોટમાં આવેલી મજૂર અદાલતના વકીલરૂમમાં ‘ઇ-લાઇબ્રેરી’ની શરૂઆત કરવામાં આવી છે. આ લાઇબ્રેરીમાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના તમામ જજમેન્ટને ડિજિટલી જોઇ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તાજેતરમાં રાજકોટમાં આવેલી મજૂર કોર્ટમાં લેબર લોઝ પ્રેક્ટીસનર્સ એસોસીએશના સહયોગથી ‘ઇ- લાઇબ્રેરી’ શરૂ કરવામાં આવી છે. વકીલોને રેફ્રન્સ માટે સરળતાથી ચુકાદાઓ મળી રહે તે ‘ઇ- લાઇબ્રેરી’નો મુખ્ય ઉદ્દેશ્ય છે. સામાન્ય રીતે વકીલ કેસમાં અપીયર થવા માટે જૂના કેસોના ચુકાદાઓને રિફર કરતાં હોય છે તેમજ ઘણીવાર તેઓ કોર્ટમાં જૂના ચુકાદાઓને રેફ્રરન્સ તરીકે કોર્ટમાં રજૂ કરે છે. તેના માટે તેણે વિવિધ કેસોની ફાઇલ્સની હાર્ડકોપીનો સંગ્રહ કરવો પડે છે અને તેને મેળવવા માટે સમય ખર્ચ થાય છે.તેથી વકીલોના કાર્યને સરળ અને ઝડપી બનાવવામાં માટે રાજકોટના બહુમાળી ભવન ખાતે આવેલી મજૂર અદાલતમાં ‘ઇ- લાઇબ્રેરી’ની શરૂઆત કરવામાં આવી છે.
‘ઇ- લાઇબ્રેરી’નો ઉપયોગ દરેક પ્રેક્ટીસ કરતા વકીલો કરી શકે છે. તેના માટે કોઇ ચાર્જ વસુલવામાં નહીં આવે. શરૂઆતના ધોરણે માત્ર એક કમ્પ્યૂટર પર સોફ્ટવેરની મદદથી આ લાઇબ્રેરી કાર્યરત છે. વકીલો દ્વારા થતાં તેના ઉપયોગ અને તેને મળતી સફળતાના આધારે વધારે કમ્પ્યૂટર વિકસાવી તેનો વ્યાપ વધારવામાં આવશે.
વકીલો માટેના આ પગલાંથી તેઓ ઓછા સમયમાં વધારે કેસોના એનાલીસીસ કરી શકશે. ભારતમાં આવેલી દરેક હાઇકોર્ટના ચુકાદાઓ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ એક જ કમ્પ્યૂટરમાંથી મળશે. તેથી ચુકાદાઓ મેળવવા માટે મથામણ નહીં કરવી પડે. વકીલો માટે એનાલિસીસ અને રેફ્રરન્સ માટેનું કાર્ય સરળ અને ઝડપી બનશે.










