
નવી દિલ્હી : નિકાસકારોએ અમેરિકન ખરીદદારો સાથે ઉચ્ચ ડયુટી અંગે વાતચીત શરૂ કરી છે. જો ભારત અને અમેરિકા વચ્ચે ૧ ઓગસ્ટ પહેલા વચગાળાનો વેપાર કરાર ન થાય, તો ભારતને યુએસમાં ૨૬ ટકા પ્રતિશોધક ડયુટીનો સામનો કરવો પડી શકે છે. આ જ કારણ છે કે નિકાસકારો અમેરિકન આયાતકારો સાથે ઉચ્ચ ડયુટી કેવી રીતે ભરપાઈ કરી શકાય તે અંગે વાત કરી રહ્યા છે.
હાલમાં, હાલની મોસ્ટ ફેવર્ડ નેશન ડયુટી ઉપરાંત ભારતની આયાત પર ૧૦ ટકાની મૂળભૂત ડયુટી લાદવામાં આવી રહી છે, પરંતુ યુએસ વહીવટીતંત્રે ૧ ઓગસ્ટથી તેના વેપાર ભાગીદારો પર દેશ-વિશિષ્ટ ધોરણે પ્રતિશોધક ડયુટી લાદવાની જાહેરાત કરી છે. સંભવિત ૧૬ ટકા વધારાની ડયુટીનો બોજ સહન કરવા અંગે ચર્ચાઓ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને એવા ઉત્પાદનોના કિસ્સામાં જે ભારતમાંથી પહેલાથી જ મોકલવામાં આવ્યા છે અને જે ૧ ઓગસ્ટના રોજ અથવા તે પછી અમેરિકન બંદરો પર પહોંચશે.
નિકાસકારોની સંસ્થા ફીયોએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે એક-તૃતીયાંશ સિદ્ધાંત લાગુ કરવામાં આવે છે. આમાં, વધારાના ડયુટી ખર્ચનો એક તૃતીયાંશ નિકાસકાર, આયાતકાર અને ગ્રાહક દ્વારા ઉઠાવવામાં આવે છે. ખરીદનાર અને વેચનાર વચ્ચે આવી ચર્ચાઓ પહેલાથી જ શરૂ થઈ ગઈ છે, ખાસ કરીને એવા માલના કિસ્સામાં જે મોકલવામાં આવ્યા છે અને જે ૧ ઓગસ્ટના રોજ અથવા તે પછી યુએસ બંદરો પર પહોંચશે.
મુખ્ય મુદ્દો એ હશે કે વધારાની ડયુટી વ્યવસાયો દ્વારા કેટલી હદ સુધી અને કેવી રીતે ઉઠાવવામાં આવશે. નિકાસકારોએ જણાવ્યું હતું કે ૨૬ ટકાની પ્રતિશોધાત્મક ડયુટી ચોક્કસપણે આંચકો આપશે અને એપ્રિલથી ડયુટી પરની અનિશ્ચિતતા તેમના નફાને અસર કરી રહી છે. વધારાની ૧૬ ટકા ડયુટી યુએસ બજારમાં ભારતીય નિકાસની માંગ ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ અને રત્નો અને ઝવેરાત જેવી ઉચ્ચ-મૂલ્યની વસ્તુઓના કિસ્સામાં ઘટાડી શકે છે.










