![]()
Surat : શ્રાવણ માસની શરૂઆત સાથે જ સુરત સહિત સમગ્ર વિશ્વમાં શિવ ભક્તો શિવ મંદિરમાં પૂજા અર્ચના કરવા માટે પહોંચી જાય છે. શિવજીની પૂજા કરવા સાથે શિવજીનું વાહન ગણાતા નંદી કે ગૌવંશની સેવા કરનારામાં પણ વધારો જોવા મળે છે. આમ તો શ્રાવણ માસમાં ગાયનું પૂજન કે સેવા કરનારાઓની સંખ્યા ઘણી હોય છે પરંતુ સુરતના અડાજણ વિસ્તારમાં એક યંગસ્ટર્સ ગુર્પ એવું છે કે જે માત્ર શ્રાવણ માસ નહી પરંતુ વર્ષ દરમિયાન શહેરની જુદી જુદી ગૌશાળામાં જાય છે ત્યાં યથા શક્તિ દાન કરવા સાથે સાથે સમય દાન કરીને ગૌશાળાની સફાઈ પણ કરે છે. એજ્યુકેટેડ યંગસ્ટર્સ ગ્રુપ કહે છે કે માત્ર દાન કરવાથી પુણ્ય નથી મળતું પરંતુ સમયદાન અને તનથી સેવા કરવાથી ગૌસેવાએ ઉત્તમ સેવા છે.
આજના મોબાઈલ યુગમાં યંગસ્ટર્સને વિવિધ ઓનલાઇન ગેમનું વળગણ છે. પરંતુ સુરતના અડાજણના જુદા-જુદા મહોલ્લામાં રહેતા યંગસ્ટર્સ દર શનિ-રવિ ભેગા મળીને શહેરની જુદી જુદી ગૌશાળામાં જાય છે અને આ ગૌશાળામાં સફાઈ કરવા સાથે ગાયને ચારો નાખવા ઉપરાંત કોઈ મેડિકલ જરૂર હોય તો તેના માટે પણ મદદુરૂપ થાય છે. આ ગ્રુપના અગ્રણી હર્ષ પટેલ કહે છે, અમે થોડા સમય પહેલાં રાજસ્થાનના સાંચોરમાં આવેલી પથમેશ ગૌશાળામાં ગયા હતા. ત્યાં દોઢ લાખથી વધુ ગૌવંશને રાખવામાં આવે છે. આ જગ્યા નિહાળ્યા બાદ અમને પણ માત્ર ગાય નહીં પરંતુ ગૌવંશની સેવા માટેની પ્રેરણા મળી હતી. સાથે આવેલા મિત્રો સામે વિચાર કર્યો તો મિત્રોએ તેના પર અમલ કરવા કહ્યું હતું.
જોકે, સુરતમાં કઈ રીતે ગૌવંશની સેવા કરી શકીએ તે પ્રશ્ન હતો તેથી વિચારણા કરી તો શહેર અને આસપાસની ગૌ શાળા છે તેમાં સમયદાન સાથે તનથી સેવા કરનારા ઓછા હોય તેવું લાગ્યું હતું. અડાજણના પટેલ મહોલ્લા, છપ્પનીયા મહોલ્લા, સુંદર મહોલ્લા, સરપંચ ફળિયા અને આસપાસના મહોલ્લાના 70 જેટલા યુવાનોનું ગ્રુપ બન્યું છે. જેમાંથી અમે 40 જેટલા યુવાનો દર શનિ-રવિ શહેરની આસપાસ ગૌશાળામાં જઈએ છીએ. જ્યાં ગોબર, તથા અન્ય કચરો હોય તેની સફાઈ કરવા સાથે ગૌવંશને સ્નાન પણ કરાવીએ છીએ. તથા જો કોઈ ગૌવંશને સારવારની જરુર હોય તો તેના માટે સહાયક પણ બનીએ છીએ.
આમ તો આજના યુવાનો છાણ કે ગૌ મુત્ર પ્રત્યે સુગ ધરાવે છે પરંતુ અમારી સાથેના જે યુવાનો છે તેઓને સનાતન ધર્મમાં ગાય જ નહી પરંતુ ગૌવંશનું જે મહત્વ છે તે સમજાવ્યું છે તેથી કોલેજમાં અભ્યાસ કરતા, બિલ્ડીંગ લાઈનમાં ધંધો કરતા, કમ્યુટર ઈજનેર કે અન્ય કોઈ ઈજનેર કે પછી કોઈ વ્હાઇટ કોલર જોબ કરતા હોય દરેક યુવાન ગૌ શાળામાં જઈને છાણની સફાઈ કરે છે. અમે જે ગૌ શાળામાં માત્ર ગાયની સેવા જ થતી હોય તેવી ગૌશાળા સેવા માટે પસંદ કરીએ છીએ. જે ગૌશાળામાં દુધનો ધંધો થતો હોય કે અન્ય કોઈ ધંધાદારી પ્રવૃત્તિ થતી હોય તેમા સેવા આપવાના બદલે જેમને સેવાની જરૂર છે તેવી ગૌશાળામાં સેવાઓ આપીએ છીએ. આમ તો દર શનિ-રવિ ગ્રુપ સેવા માટે જાય છે પરંતુ કેટલાક એવા છે કે જેઓને શનિ-રવિ સિવાય અઠવાડીયાના કોઈ પણ દિવસે ફુરસદ મળે ત્યારે સેવા આપવા પહોંચી જાય છે.
ગ્રુપના પરમ પટેલ કહે છે, અમારા ગ્રુપનો ઉદ્દેશ માત્ર ગૌસેવા જ નહીં, પણ સમાજમાં સ્વચ્છતા અને જાગૃતિનું સંદેશ આપવા માટે છે. યુવાનો પોતાના કિંમતી સમય કઢીને ગાયોની સેવામાં સમર્પિત થાય છે – ગૌશાળાની સાફસફાઈ, ગાયોને પાણી આપવા, અને જરૂરી સેવા કાર્યમાં પોતાનો યોગદાન આપીએ છીએ. એટલું જ નહીં પરંતુ આ ગ્રુપના મોટાભાગના સભ્યો સવારે ગૌમૂત્ર નુ પણ સેવન કરી રહ્યાં છે.
ગૌશાળામાં સફાઈ અભિયાન દ્વારા યુવાઓ અનેક લોકોને પ્રેરણા આપી રહ્યા છે કે ગૌસેવા ફક્ત દાન સુધી મર્યાદિત નથી હોતી, પણ ખંતપૂર્વકની સેવા પણ સમાન મહત્વ ધરાવે છે. દર મહિને જ્યારે આ ગ્રુપ કોઈ નવી ગૌશાળામાં જાય છે, ત્યારે ત્યાંના સંચાલકો અને કાર્યકર્તાઓ માટે પણ તે નવી શક્તિ લઈને આવે છે. અનેક લોકોએ આ પ્રવૃત્તિ જોઈને આવી સેવાઓ સાથે જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
મોટાભાગના યુવાનો રોજ ગ્રહણ કરે છે ગૌમૂત્ર, કેટલાક બન્યા ગૌ વ્રતી
સુરતના અડાજણ વિસ્તારમાં જુદા-જુદા ફળિયાના યંગસ્ટર્સમાં ગ્રુપ માત્ર શ્રાવણ માસ નહી પરંતુ વર્ષ દરમિયાન ગૌશાળામાં જઈને વિવિધ સેવા પ્રવૃત્તિ કરે છે. આ ગ્રુપના સભ્યો ગૌ સેવામાં એવા લીન થઈ ગયા છે કે, પાંચેક જેટલા સભ્યો તો ગૌ વ્રતી બની ગયાં છે. ગૌ વ્રતિને અર્થ એવો થાય છે કે આ યુવાનો ગાયના દૂધમાંથી બનેલી વસ્તુઓ જ આરોગે છે તેનું કારણ જણાવતા તેઓ કહે છે આપણી ભારતીય ગાયનું દુધ પવિત્ર છે અને સાત્વિક છે તેથી તેનો આહારમાં ઉપયોગ કરવાથી અનેક ફાયદાઓ પણ થઈ રહ્યાં છે.










