![]()
Jharkhand Blast News: ઝારખંડમાં એક પછી એક ત્રણ વિસ્ફોટ થયા હતા. ચક્રધરપુર રેલવે ડિવિઝનમાં નક્સલીઓએ રવિવારે (ત્રીજી ઓગસ્ટ) ત્રણ સ્થળોએ IED બ્લાસ્ટ કરીને રેલવે ટ્રેકને ઉડાવી દીધો. આ વિસ્ફોટમાં એક રેલવે કર્મચારીનું મોત નીપજ્યું, જ્યારે ટ્રેકમેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેને રાઉરકેલાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. વિસ્ફોટમાં રેલવે ટ્રેકને નુકસાન થતા રેંજડા અને કરમપાડા વચ્ચે માલગાડીઓની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી.
રેલવે વિભાગે તપાસના આદેશ આપ્યા
અહેવાલો અનુસાર, ચક્રધરપુર રેલવે ડિવિઝનમાં રેલવે ટ્રેક પર વિસ્ફોટની પહેલી ઘટના રવિવારે સવારે 6.40 વાગ્યે રેંજડા અને કરમપાડા રેલવે સ્ટેશનો વચ્ચે બની હતી. વિસ્ફોટમાં અઢી મીટર સુધીના 60 કિલો વજનના રેલવે સ્લીપર્સ ઉડી ગયા હતા અને ટ્રેકને નુકસાન થયું હતું. બીજી ઘટના સવારે 10.05 વાગ્યે બિમલગઢ-રેંજડા અને કરમપાડા સેક્શન વચ્ચે બની હતી, જ્યાં ગેંગમેનનું મૃત્યુ નીપજ્યું હતું અને ટ્રેકમેન ઈજાગ્રસ્ત થયો હતો. ત્રીજી ઘટના સાંજે 5 વાગ્યે કરમપાડા નજીક બની હતી. આ રેલવે વિભાગે તપાસના આદેશ આપ્યા છે.
આ પણ વાંચો: બિહારમાં મહાદેવને જળાભિષેક કરવા જતાં કાવડિયાઓનું વાહન નદીમાં ખાબક્યું, 5ના કમકમાટીભર્યા મોત
ટ્રેક પર બેનરો લગાવવામાં આવી રહ્યા હોવાની માહિતી મળતાં ગેંગમેન અને ટ્રેકમેનને બિમલગઢ-કરમપાડા-રાંજરા સેક્શનમાં પેટ્રોલિંગ માટે મોકલવામાં આવ્યા હતા. આ દરમિયાન વિસ્ફોટ થયો હતો.
સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ શરૂ
હાલ આ મામલે જંગલમાં સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે. અન્ય કોઈ વિસ્ફોટક હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને બોમ્બ ડિટેક્શન યુનિટને ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. રેલવે એન્જિનિયરોની એક ટીમે નુકસાનનું મૂલ્યાંકન શરૂ કરી દીધું છે. સુરક્ષા દળો દ્વારા વિસ્તાર સંપૂર્ણપણે ખાલી કરાવ્યા પછી જ વિગતવાર તપાસ અને રિપોર્ટ બહાર આવશે. આ ઉપરાંત ઝારખંડ-ઓડિશા સરહદ પર સુરક્ષા વધુ વધારી દેવામાં આવી છે. બંને રાજ્યોના પોલીસ દળો અને કેન્દ્રીય અર્ધલશ્કરી દળોને સારંડા જંગલની અંદર ઓપરેશન હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.










