![]()
Jamnagar Corporation Food Safety : જામનગર શહેરમાં શ્રાવણ માસ ઉપરાંત અનેક ધાર્મિક તહેવારો શરૂ થઈ રહ્યા છે ત્યારે જામનગર મહાનગરપાલિકાના ફુડ સેફટી વિભાગ દ્વારા શહેરમાં ખાણી-પીણીના વેચાણના 21 સ્થળોએથી ફરાળી ફરસાણ-મીઠાઈના નમુના લઈને લેબોરેટરીમાં મોકલવાની કામગીરી કરવામાં આવી છે. તેમજ એક સ્થળેથી બીનઆરોગ્યપદ જણાતી 9 કીલો વસ્તુઓનો નાશ કરાવવાની અને અન્ય સ્થળોએ વિવિધ કરાળી વસ્તુઓના સેમ્પલો લેવાની કાર્યવાહી કરી હતી.
જામનગર શહેરમાં કોઈ વેપારીઓ તહેવારોનો લાભ લઈને ભેળસેળવાળી કે હલકી ગુણવત્તાની ખાદ્ય ચીજ-વસ્તુઓ વેંચાય નહીં અને લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે રાજ્ય સરકારની સુચના મુજબ ફુડ સેફ્ટી ઓફીસરો દ્વારા હાલ ફુડ આઈટમોના સેમ્પલીંગની તેમજ ખાણીપીણીના સ્થાનોની આરોગ્યપદ સ્થિતિ જળવાય તે જોવાની ઝુંબેશ શરુ કરવામાં આવી છે.
જેના ભાગરૂપે તંત્રના ફુડ સેફ્ટી ઓફીસરોએ ગત દિવસોમાં ઢીંચડા રોડ ઉપરની રાધે-રાધે રેસ્ટોરન્ટ અને તિરુપતિપાર્કમાં આવેલા આદિત્ય રેસ્ટોરન્ટમાં સાફ-સફાઈ જાળવવા, આરોગ્યપદ સ્થિતિ જાળવવા અને વાસી ખોરાક નહીં રાખવા સુચના આપવામાં આવી હતી. તિરુપતિ પાર્કમાં જ આવેલા ઓ-ટુ રસ્ટ્રો એન્ડ કેફેમાંથી બીનઆરોગ્યપદ જણાતા પાંચ કીલો મંચુરીયન. 3 કીલો બાફેલા બટેટા અને 1 કીલો પાંવભાજીનો ફુડ સેફ્ટી ઓફીસરોએ સ્થળ ઉપર નાશ કરાવ્યો હતો.
આ ઉપરાંત શહેરમાં ગોકુલનગર અને ગોકુલનગર જકાતનાકા પાસે, હરિયા કોલેજ રોડ ઉપર, લાલબંગલો. લીમડાલાઈન. દિગ્વિજય પ્લોટ, સુમેર-ક્લબ રોડ ઉઘારથી મ્યુ. કોર્પોની ટીમએ ફરાળી વસ્તુઓમાં વિવિધ પ્રકારના ચેવડા, ચકરી, ભાખરી, ભાખરવડી, કેળાની વેફરના નમુના લીધા હતા. તે જ રીતે ગઈકાલે જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી બે દુકાનોમાંથી ફરાળી ચેવડા, પુરી વગેરેના સેમ્પલો લઈ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. આ દરોડાની કાર્યવાહી આજે પણ સતત ચાલુ રાખવામાં આવી છે.









