Uttarkashi Dharali Floods : ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં મંગળવારે (5 ઓગસ્ટ) ભારે વરસાદ બાદ વાદળ ફાટવાથી ભયંકર આફત સર્જાઈ હતી. આ વિનાશમાં ધારાલી ગામ સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. આખેઆખું ગામ કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. પાણીના પૂર વચ્ચે લોકોના બૂમોથી હૃદય હચમચી ગયું હતું. ઘટના બાદ જિલ્લામાં કેટલાક દિવલથી ખરાબ વાતાવરણ હતું, છતાં રેસ્ક્યૂ ટીમ દિલધડક ઓપરેશન કરી રહી છે.
1126 લોકોને સુરક્ષિત બચાવાયા
ઉત્તરકાશીમાં ભયાનક કુદરતી આફત આવ્યા બાદ અત્યાર સુધીમાં 1126 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આમાંથી હર્ષિલ અને નેલાંગમાંથી 480 લોકોને બચાવાયા છે અને તેમને જોલીગ્રાંટ, મટલી અને ચિન્યાલીસૌડ પહોંચાડાયા છે. હેલિકોપ્ટર દ્વારા કુલ 270 ઉડાન ભરવામાં આવી છે અને તેના દ્વારા અસરગ્રસ્ત વિસ્તારો ચિન્યાલીસૌડ, માતલી અને હર્ષિલમાંથી અનેક લોકોને બચાવાયા છે. રેસ્ક્યૂ ટીમ દ્વારા સતત કાર્યવાહી કરીને અનેક લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત ગંગોત્રીહાઈવે પર ડબરાની-ગંગાનાની પાસે વેલી બ્રિજના સ્ટ્રક્ચરનું કામ પણ પુરુ કરી દેવાયું છે.
રોડ બનાવવા પણ ઝડપી કામગીરી શરૂ કરાઈ
હર્ષિલમાં આવેલા પ્રવાસીઓ અને ગંગોત્રીથી આવેલા શ્રમિકોને સુરક્ષિત બહાર કઢાયા છે. ઉત્તરકાશીથી હર્ષિલ સુધીનો વિમાની માર્ગ ખુલી ગયો છે, જ્યારે ધરાલીમાં નુકસાન પામેલો રોડ ઝડપી બનાવવા માટે એક્સકેવેટર્સ જેવા મશીનોનો ઉપયોગ કરાયો છે. ચિંતાજનક વાત એ છે કે, ગંગનાનીથી આગળ લગભગ પાંચ કિલોમીટરનો રસ્તો વહી ગયો હોવાથી હજુ પણ તે તરફ જવાના તમામ માર્ગો બંધ છે. બીજીતરફ હર્ષિલ અને ધરાલીમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે.

હર્ષિલમાં વીજળી સંકટ દૂર, ડિઝલ-ગેસ પૂરવઠો શરૂ
રાજ્યમાં હજુ પણ હવામાન વારંવાર ખરાબ થવાના કારણે રેસ્ક્યૂ કામગીરીમાં સમસ્યા ઉભી થઈ રહી છે. જોકે લોકોની સુરક્ષા માટે રાહત દળની ટીમ સતત કામગીરી કરી અનેક લોકોને બચાવી રહી છે. એસડીઆરએફના ઈન્સ્પેક્ટર જનરલ અરૂણ મોહન જોશીને રેસ્ક્યૂ ઓપરેશનના નોડલ અધિકારી બનાવાયા છે. ઘટના બાદ હર્ષિલમાં વીજળી સંકટ પણ દૂર કરી દેવાયું છે. આ ઉપરાંત હર્ષિલ અને ધરાલીમાં ડીઝલ અને ગેસ પૂરવઠો નિયમિત શરૂ કરી દેવાયો છે. અહીં અનેક રસ્તાઓ ખરાબ હાવના કારણે ભોજન સામગ્રી ખચ્ચરો દ્વારા પહોંચાડવામાં આવી રહી છે.

5 ઓગસ્ટની કુદરતી આફત શું હતી?
5 ઓગસ્ટ 2025ના રોજ ઉત્તરકાશીમાં ખાબકેલા ભારે વરસાદના કારણે ધરાલી અને હર્ષિલમાં અચાનક પૂર આવ્યું હતું. આ પૂર એટલું પ્રચંડ હતું કે તે પોતાના પ્રવાહમાં માટી, પથ્થરો અને કાટમાળને સાથે ઢસડી ગયું, જેના કારણે બધું જ તબાહ થઈ ગયું. ઘરો નીચેથી જમીન ધસી ગઈ, રસ્તાઓ તૂટી ગયા અને અનેક લોકો લાપતા થયા. આ ઘટનાથી આખો વિસ્તાર સંપર્ક વિહોણો થઈ ગયો. ખીર ગાડ અને ભાગીરથી નદીના સંગમ સ્થળ પર આવેલા ધરાલી ગામમાં લગભગ 20 હેક્ટર (750 મીટર X 450 મીટર) વિસ્તારમાં માટી અને કાટમાળનો વિશાળ ઢગલો જમા થયો છે. ઘણી ઇમારતો સંપૂર્ણપણે નાશ પામી છે અથવા માટીના પ્રવાહમાં ડૂબી ગઈ છે. ધરાલીમાં ઘણા ઘરો ઉપર માટી-કાટમાળ જમા થઈ ગયો છે, જે તેમને સંપૂર્ણપણે નષ્ટ કરી ચૂક્યો છે.










