![]()
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર
રેડીમેડ ગારમેન્ટ અને ટેક્સટાઈલના અન્ય ઉત્પાદનોની અમેરિકામાં નિકાસ કરનારા ભારતીય નિકાસકારો પાસેથી ૨૭મી ઓગસ્ટથી વધારાના ૫૦ ટકા સહિત કુલ ૫૬થી ૫૮ ટકા ટેરિફ લેવાના નિર્ણયને પરિણામે ભારતની નિકાસને અંદાજે રૃ. એક લાખ કરોડથી વધુનો ફટકો પડવાની સંભાવના છે. ઇમ્પોર્ટ ટેરિફનો આટલો મોટો બોજ વેંઢારવો કોઈપણ સેક્ટર માટે અશક્ય છે. રેડીમેડ ગારમેન્ટની નિકાસ અંદાજે ૫.૫ અબજ ડૉલર અને હોમ ફર્નિશિંગ સહિતના અન્ય ઉત્પાદનોની બીજી ૫.૫ અબલ ડૉલર મળીને ભારતમાંથી અમેરિકામાં ેટક્સટાઈલ સેક્ટરની કુલ નિકાસ ૧૧ અબજ ડૉલરની છે. ગુજરાતમાંથી અમેરિકામાં એક અબજ ડૉલરના ટેક્સટાઈલ પ્રોડક્ટ્સની નિકાસ થાય છે.
અમેરિકી પ્રમુખ છેલ્લા ઘણાં મહિનાઓથી ટેરિફ લાદવાને મુદ્દે ગાજતા રહ્યા હોવાથી ભારતની કેટલીક કંપનીઓએ ટેરિફનો અમલ થાય તે પૂર્વે જ નિકાસના ખાસ્સા કન્સાઈનમેન્ટ મોકલી દીધા છે. પરિણામે આ વરસે ખાસ્સી નિકાસ થઈ ચૂકી છે. એક અંદાજ મુજબ ઓગસ્ટ ૨૦૨૫ના પહેલા પખવાડિયાના અંત સુધીમાં રેડીમેડ ગારમેન્ટની કુલ ૨.૫થી ૩ અબજ ડૉલરની નિકાસ થઈ ચૂકી હોવાનો અંદાજ છે. છતાંય સંખ્યાબંધ નિકાસકારોના ગોદામોમાં જંગી ઇન્વન્ટરી પડી રહી છે. પરંતુ હવે પછીના છથી સાત મહિનામાં નિકાસ સાવ જ અટકી પડશે.
તેનું કારણ આપતા ક્લોધિંગ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના ચીફ મેન્ટર રાહુલ મહેતા કહે છે કે જૂની છ ટકાથી આઠ ટકાની ટેરિફ વત્તા બીજા એડિશનલ ટેરિફના ૫૦ ટકા લાગતા અમેરિકામાં ટેક્સટાઈલની નિકાસ બંધ થઈ જશે. કારણ કે ભારતીય ઉત્પાદકોની અને નિકાસકારોની સ્પર્ધાત્મકતા સાવ જ ખતમ થઈ ગઈ છે. અત્યારે અમેરિકામાં અંદાજે ગારમેન્ટનું એક્સપોર્ટ ૫.૫ અબજ ડાલરનું છે. આ નિકાસ અંદાજે ૫૦,૦૦૦ કરોડ રૃપિયાની થાય છે. ભારતમાંથી ટી શર્ટ્સ, શર્ટ્સ, લેડીઝ ટોપ, બ્લાઉઝ સહિતના પ્રોડક્ટ્સની નિકાસ કરવામાં આવે છે.
એસોચેમ ગુજરાતના ચેરમેન ચિંતન ઠાકરનું કહેવું છે કે ભારતમાંથી રેડીમેડ ગારમેન્ટ સહિતની ટેક્સટાઈલની અમેરિકામાં થતી કુલ નિકાસ ૧૧ અબજ ડૉલરની છે. તેમાંથી મોટાભાગની નિકાસ એપરલ અને મેડઅપ્સની છે. એપ્રિલ ૨૦૨૫ પહેલા તેના પર ૬થી ૮ ટકા હતી. તેના પર ૫૦ ટકાનો વધારાનો બોજ આવ્યો છે. તેથી ભારતીયોને મળેલા નિકાસના ઓર્ડર કેન્સલ થઈ જશે. ખેતી પછી સૌથી વધુ રોજગારી આપતા ટેક્સટાઈલ સેક્ટરની રોજગારી પર તેની મોટી અસર પડશે. લાખો કામદારોની રોજગારી પર તેની અસર જોવા મળી શકે છે. ગુજરાતના ટેક્સટાઈલ સેક્ટરમાં પણ બેરોજગારી વધી જસે.
રાહુલ મહેતાનું કહેવું છે કે ભારતના નિકાસકારોએ હવે અમેરિકાને છોડીને યુરોપિયન સંઘના દેશોમાં નિકાસ કરવા પર ફોકસ કરવું પડશે. આ જ રીતે મધ્ય પૂર્વના દેશોમાં નિકાસ કરવા પર ફોકસ કરવું પડશે. તેમ જ સાઉથ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડના માર્કેટમાં નિકાસ કરવાનો રસ્તો ખોલવો પડશે.
ન્યુક્લોથ માર્કેટ સાથે સંકળાયેલા અને મસ્કતી મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતનું કહેવું છે કે ગુજરાતમાંથી હોમ ટેક્સટાઈલની આઈટેમ્સની ખાસ્સી નિકાસ અમેરિકામાં થાય છે. નિકાસકારો પાસેનો ગારમેન્ટનો સ્ટોક જમા થઈ જશે. અત્યારે નહિ વેચાય તો તેમની વકગ કેપિટલ ફસાઈ જશે. તેમને માટે અત્યારે માલની ડિલીવરી શક્ય નહિ બને. પરિણામે એલ.સી. અને પૈસાનો પ્રોબ્લેમ વકરી જવાની સંભાવના છે. તકલીફની આ સ્થિતિમાં સરકારે ઇન્ડસ્ટ્રીને પડખે ઊભા રહેવું જરૃરી છે. તેના ભાગરૃપે ટેક્સટાઈલ નીતિના જે લાભ આપવાના થતા હોય તો તે લાભના ફંડ વહેલામાં વહેલા રિલીઝ કરવા જરૃરી છે.
અમેરિકાના ટેરિફ લાદવાના નિર્ણયને પરિણામે ટેક્સટાઈલ ઉદ્યોગમાં ભયનો માહોલ છે. જોકે છેલ્લાં બે-ત્રણ મહીનાંમાં કંપનીઓએ વધુમાં વધુ માલ અમેરિકામાં મોકલી દીધો છે. ટ્રમ્પના ટેરિફના વઘારાની અસર ટાળી શકાય તે માટે એડવાન્સમાં નિકાસ કરી દીધી છે. તેમ છતાં પણ હાલે હજુ લાખો ટન કપડાંના માલના જથ્થા ગોદામોમાં જ જમા પડયા છે. અમેરિકામાં ભારતમાંથી આયાત કરી રહેલી કંપનીઓ ટેરિફનો ભાવમાં ૫થી ૨૫ ટકા સુધીની હિસ્સેદારી કરવા પણ તૈયાર થઈ રહી છે. છતાંય ભારતની ઘટનારી નિકાસનો ફાયદો બાંગલાદેશ, કોમ્બોડિયા, વિયેટનામ અને પાકિસ્તાનને મળવાની ધારણા છે.










