GST Reforms Benefits: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી જીએસટીમાં સુધારાની મોટી જાહેરાત કરી હતી. આ સુધારો દિવાળી પહેલાં લાગુ થવાની ખાતરી પણ આપી હતી. જીએસટી કાઉન્સિલની આગામી બેઠક 3 સપ્ટેમ્બરે યોજાવાની છે. જેમાં જીએસટી સ્લેબમાં મોટા ફેરફારની સંભાવના છે.
ઝીરો જીએસટી સ્લેબ લાગુ થશે
આ બેઠકમાં ઝીરો જીએસટી સ્લેબમાં અનેક ચીજવસ્તુઓ સામેલ થવાની શક્યતા છે. રોજિંદા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને સેવાઓ પરથી જીએસટી દૂર થવાના અહેવાલો છે. જે અત્યારસુધી 5 ટકા અને 18 ટકા જીએસટી સ્લેબમાં સામેલ છે. રિપોર્ટ અનુસાર, આ ચીજવસ્તુઓમાં મુખ્યત્વે ફૂડ પ્રોડક્ટ સામેલ થશે. જેમાં યુએચટી દૂધ, પ્રિ-પેકેજ્ડ પનીર, પિત્ઝા બ્રેડ અને રોટલી વગેરે સામેલ થઈ શકે છે.
હવે પરાઠા પર નો જીએસટી
મીડિયા રિપોર્ટ અનુસાર, નો જીએસટીની યાદીમાં અનેક સામાન સામેલ છે, જેને ઝીરો સ્લેબમાં સામેલ કરવાની તૈયારી છે. રેડી ટુ ઈટ રોટલી સાથે પરાઠા પણ સામેલ કરી શકો છો. જેના પર અત્યારસુધી 18 ટકા જીએસટી લાગુ છે. પરંતુ સરકારની તૈયારી આ દરને સુસંગત બનાવવાની છે. મંત્રીમંડળ ઝીરો ટેક્સ હેઠળ અનેક ચીજો સામેલ કરી શકે છે. ફૂડ પ્રોડક્ટની સાથે એજ્યુકેશન સાથે જોડાયેલી ચીજો પણ સસ્તી થઈ શકે છે. જેના પર આગામી સમયમાં ઝીરો જીએસટી લાગુ થઈ શકે છે.
શિક્ષણ સંબંધિત સામાન પણ થશે સસ્તા
શિક્ષણ સંબંધિત તમામ ચીજોને જીએસટીમાંથી મુક્તિ આપવાની તૈયારી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. કાઉન્સિલની બેઠકમાં નકશા, વૉટર સર્વે ચાર્ટ, એટલસ, દિવાલ નકશા, ગ્લોબ્સ, પ્રિન્ટેડ શૈક્ષણિક ચાર્ટ, પેન્સિલ-શાર્પનર્સ તેમજ પ્રેક્ટિસ બુક, ગ્રાફ બુક અને લેબોરેટરી નોટબુક્સને GSTમાંથી મુક્તિ આપવામાં આવે તેવી શક્યતા છે, જેના પર હાલમાં 12% ના દરે જીએસટી લાગુ છે.
હેન્ડલૂમ પ્રોડક્ટ પર પણ મળી શકે છે છૂટ
નવી ચીજવસ્તુઓને ઝીરો સ્લેબમાં સામેલ કરવાની સાથે જીએસટી રેટને યુક્તિસંગત બનાવવા પર GOM સમક્ષ ભલામણ કરવામાં આવી છે. હેન્ડલૂમ પ્રોડક્ટસ અને રેશમ પર જીએસટી છૂટ ચાલુ રહેશે. તેમજ હેન્ડીક્રાફ્ટના કારીગરોને રાહત આપવા જીએસટીમાં છૂટ ચાલુ રહેશે. તેના પર અગાઉ 5 ટકા જીએસટી લાદવાની વિચારણા થઈ હતી. તદુપરાંત ફિટમેન્ટ સમિતિએ પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે, માખણ, ફેટયુક્ત દૂધ, મશરૂમ, ખજૂર, માવા અને નમકિન પ્રોડક્ટ્સ પર હાલ લાગુ 12 ટકા જીએસટી સ્લેબ દૂર કર માત્ર 5 ટકા કરવામાં આવે.
મધ્યમવર્ગ-વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત
જીએસટીમાં સુધારા સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે, જીએસટી સ્લેબમાં ઘટાડો કરવાથી માંડી વિવિધ ચીજવસ્તુઓને જીએસટી મુક્ત કરવાની જોગવાઈ છે. વધુમાં ઈનડાયરેક્ટ ટેક્સ સ્ટ્રક્ચરને તર્કસંગત બનાવવામાં આવશે. ઝીરો જીએસટી સ્લેબનું વિસ્તરણ થતાં મધ્યમવર્ગથી માંડી વિદ્યાર્થીઓને મોટી રાહત મળવાનો આશાવાદ છે. આ ભલામણો પર અંતિમ નિર્ણય આગામી સપ્તાહે દિલ્હીમાં યોજાનારી 56મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવશે.











