![]()
કેન્દ્રની જનધન બેન્ક ખાતા યોજનાને 11 વર્ષ પૂરા : દેશમાં 56 કરોડ પૈકી 13 કરોડ ખાતા જનધન ખાતામાં 2.67 લાખ કરોડની ડિપોઝિટ : 56 ટકા ખાતા સ્ત્રીઓનામાં બે વર્ષથી વધુ સમયથી લેવડદેવડ થઈ નથી, ઘણાના KYC પણ નથી
રાજકોટ, : ભારતમાં ગરીબોના બેન્ક ખાતા ખોલવા કેન્દ્ર સરકાર દ્વારા તા. 28 ઓગષ્ટ 2014ના જનધન ખાતા યોજના અમલી કરાઈ હતી જેને આજે 11 વર્ષ પૂરા થયા છે. સરકારી સૂત્રોએ જણાવ્યા મૂજબ આ યોજનાથી 56 કરોડ બેન્ક ખાતાઓ ખોલવામાં આવ્યા છે. બીજી તરફ સંસદમાં જ એક પ્રશ્નના ઉત્તરમાં તાજેતરમાં નાણામંત્રાલયે જણાવ્યા મૂજબ દેશમાં 13 કરોડ જનધન ખાતા ઈનઓપરેટીવ છે જેમાં ગુજરાતમાં 1,94,61,251 ખાતા પૈકી 50,98,417 એટલે કે 26.20 ટકા ખાતામાં ઉપાડ-જમા સહિત વ્યવહારો બંધ છે.
રિઝર્વ બેન્કની તા. 18-2-2009 ની માર્ગદર્શિકા મૂજબ સતત 2 વર્ષથી વધુ સમયથી ખાતામાં વ્યવહારો થતા ન હોય તે ઈનઓપરેટીવ કે ડોરમન્ટ તરીકે ગણવામાં આવે છે. આ મૂજબ દેશમાં 11 વર્ષમાં 56,03,84,490 ખાતા ખોલવામાં આવ્યા હતા તેમાંથી 13,04,52,845 જનધન ખાતામાં 2 વર્ષ કે વધુ સમયથી ટ્રાન્ઝેક્શન થયા નથી. બેન્કના સૂત્રોએ જણાવ્યું કે ઘણા ખાતામાં કે.વાય.સી. પણ અપડેટ થયેલ નથી. આ માટે બેન્ક દ્વારા ફોન, એસએમએસ., રૂબરૂ સંપર્કનો પ્રયાસ પણ કરાયો છે.
આજે આ યોજનાના 12માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે સરકારે જારી કરેલી વિગત અનુસાર 67 ટકા ખાતા રૂરલ, સેમી અર્બન એરિયામાં ખોલ્યા છે અને 56 ટકા ખાતા મહિલાઓ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે સૌથી ઓછા સમયમાં સર્વાધિક બેન્ક ખાતા માટે એટલે કે યોજનાના આરંભે એક સપ્તાહમાં 1,80,96,130 ખાતા ખોલીને ગીનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયેલ છે. માર્ચ-2015ના આ ખાતામાં રૂ।.15,670 કરોડની ડિપોઝીટ ગત તા. 13-8-2025 ની સ્થિતિએ 2,67,756 કરોડે પહોચી છે. એટલે કે ખાતા દીઠ રૂ।. 4768 ની ડિપોઝીટ છે.










