India Israel BIT: ભારત અને ઈઝરાયલે સોમવારે એક દ્વિપક્ષીય રોકાણ સંધિ પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં ભારત અને ઈઝરાયલ વચ્ચે રોકાણને પ્રોત્સાહન મળશે. નાણા મંત્રાલયે સોમવારે પોતાના X એકાઉન્ટ પરથી પોસ્ટ કરી હતી કે, ભારત અને ઈઝરાયલ સરકારે આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય રોકાણ સંધિ (BIT) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર પર નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને ઈઝરાયલના નાણા મંત્રી બેજેલેલ સ્મોટ્રિચે હસ્તાક્ષર કર્યા હતા. ઈઝરાયલના નાણા મંત્રી સ્મોટ્રિચ 8થી 10 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસના ભારત પ્રવાસ પર છે.
BITથી બંને દેશના રોકાણકારોને મળશે સુરક્ષાની ગેરેંટી
બેજેલેલ સ્મોટ્રિચ ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ તથા આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ સાથે મુલાકાત કરશે. તેમના ભારત પ્રવાસનો ઉદ્દેશ દ્વિપક્ષીય બેઠકોના માધ્યમથી ભારત સાથે ઈઝરાયલના આર્થિક અને નાણાકીય સંબંધોને વધુ મજબૂત બનાવશે. બંને દેશ દ્વિપક્ષીય રોકાણ સંધિ (BIT) અને મુક્ત વેપાર કરાર (FTA) સહિત અમુક મહત્ત્વના કરાર કરવા તૈયાર છે. જેનાથી બંને દેશોના રોકાણકારોને સુરક્ષાની ગેરેંટી મળશે. ઈઝરાયલના નાણા મંત્રી પોતાની ભારત મુલાકાત દરમિયાન મુંબઈ અને ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીની મુલાકાત લેશે.
4 અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર
ઈઝરાયલે વર્ષ 2000થી માંડી અત્યારસુધી 15થી વધુ દેશો સાથે દ્વિપક્ષીય વેપાર સંધિ કરી છે. જેમાં યુએઈ, જાપાન, ફિલિપિન્સ, થાઈલેન્ડ, દક્ષિણ આફ્રિકા સામેલ છે. ભારત અને ઈઝરાયલ વ્યૂહાત્મક પાર્ટનર છે. બંને દેશો વચ્ચે દરવર્ષે આશરે 4 અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર કરે છે. 2000-2025 દરમિયાન ભારતે ઈઝરાયલમાં કુલ 44.3 કરોડ ડોલરનું રોકાણ કર્યું છે. જ્યારે ભારતના એફડીઆઈમાં ઈઝરાયલનું યોગદાન 33.42 કરોડ ડોલર રહ્યું હતું.











