Sonia Gandhi on Waqf Bill: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીએ વક્ફ સુધારા બિલને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે બિલ અને તેને પાસ કરાવવામાં સરકાર દ્વારા દર્શાવવામાં આવેલી ઉતાવળની આકરી ટીકા કરી હતી.
વક્ફ બિલ બળજબરીથી પસાર કરવામાં આવ્યું છે: સોનિયા ગાંધી
કોંગ્રેસ સંસદીય દળ (CPP)ની જનરલ બોડીની બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું, ‘ગઈકાલે વક્ફ સુધારા બિલ, 2024 લોકસભામાં પસાર થઈ ગયું હતું અને આજે તે રાજ્યસભામાં રજૂ થવાનું છે. આ બિલ બળજબરીથી પસાર કરવામાં આવ્યું હતું. અમારી પાર્ટીનું સ્ટેન્ડ સ્પષ્ટ છે. આ બિલ બંધારણ પર હુમલો છે. આ આપણા સમાજને કાયમી ધોરણે ધ્રુવીકરણ રાખવાની ભાજપની ઇરાદાપૂર્વકની વ્યૂહરચનાનો એક ભાગ છે.’
આજે રાજ્યસભામાં રજૂ થશે વક્ફ બિલ
કેન્દ્ર સરકારે વક્ફ કાયદામાં સુધારા માટેનું બિલ લોકસભામાં રજુ કર્યું હતું, જેના પર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ધારદાર દલીલો થઇ હતી. વિપક્ષ ઇન્ડિયા ગઠબંધને આ બિલનો વિરોધ કર્યો હતો જ્યારે એનડીએના પક્ષોએ બિલનું સમર્થન કર્યું હતું. બિલને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂ દ્વારા રજુ કરાયું હતુ અને ચર્ચાના અંતે આ બિલ લોકસભામાં પસાર થયું હતું અને આજે ગુરૂવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. જો કે કેન્દ્ર સરકારને રાજ્યસભામાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. NDAમાં સામેલ JDU, TDP, શિવસેના (એકનાથ શિંદે) અને NCPને સમર્થન મળશે.
આ પણ વાંચો: તમિલનાડુની સરકાર વક્ફ સુધારા બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારશે, ધાર્મિક સદ્ભાવનાને નબળી પાડવાનો આરોપ
સંસદમાં શું છે બંને ગઠબંધનનું ગણિત?
બુધવારે લોકસભામાં બિલ રજૂ થયા બાદ, ગુરુવારે રાજ્યસભામાં પણ રજૂ કરવામાં આવશે. અત્યાર સુધીના આંકડાઓ અનુસાર, NDA ને લોકસભામાં 296 સાંસદોનું સમર્થન છે. આ ઉપરાંત, કોંગ્રેસના નેતૃત્વ હેઠળના વિપક્ષ પાસે 234 સાંસદો છે અને અન્ય પાસે 12 છે. વિપક્ષને આશા છે કે જો તેઓ લોકસભામાં બિલને રોકવામાં અસમર્થ રહે તો પણ રાજ્યસભામાં જોરદાર લડાઈ થશે.