![]()
મુંબઈ : અંદાજે છ જેટલા જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં માઈનોરિટી હિસ્સાનું વેચાણ કરવા સરકાર યોજના ધરાવે છે. જો કે કયા ઉપક્રમોમાં આ વેચાણ કરાશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ડીપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (દીપમ)ના સેક્રેટરી અરુનિશ ચાવલાએ એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, વર્તમાન નાણાં વર્ષમાં કુદરતી સ્રોત ક્ષેત્રમાંની એક સરકારી કંપનીનું સરકાર જાહેર ભરણું લાવશે.
આ જાહેર ભરણું કોઈ સરકારી કંપનીમાંથી અથવા તો તેની સબ્સિડીઅરીમાંથી લવાશે. જો કે તેમણે કોઈ કંપનીનું નામ જણાવ્યું નહોતું પરંતુ ઓએનજીસી તેની ઓએનજીસી ગ્રીન એનર્જી અને એનએચપીસી તેની એનએચપીસી રિન્યુએબલ એનર્જીનું લિસ્ટિંગ કરાવવા ઈરાદો ધરાવતી હોવાના અગાઉ અહેવાલ હતા.
માઈનોરિટી હિસ્સાના વેચાણ અને જાહેર ભરણાંથી સરકારની ડિસઈન્વેસ્ટમેન્ટ મારફતની આવકમાં નોંધપાત્ર વધારો થશે.
વર્તમાન નાણાં વર્ષમાં સરકાર હિસ્સાના વેચાણ તથા એસેટ મોનિટાઈઝેશન મારફત ૪૭૦ અબજ રૂપિયા ઊભા કરવા ધારે છે.
આ ઉપરાંત જાહેર ક્ષેત્રના ઉપક્રમો પાસેથી વર્તમાન નાણાં વર્ષમાં ડિવિડન્ડની રકમ અંદાજ કરતા વધુ પ્રાપ્ત થવાની પણ તેમણે અપેક્ષા વ્યકત કરી છે.
દેશની એકંદર માર્કેટ કેપમાં જાહેર ક્ષેત્રના ઉપક્રમોનો હિસ્સો ૧૪ ટકા છે, આમછતાં તેમણે નાના રોકાણકારોને ૨૫ ટકા જેટલું ડિવિડન્ડ ચૂકવ ે છે.
વર્તમાન નાણાં વર્ષના એસેટ મોનિટાઈઝેશન ટાર્ગેટને સિદ્ધ કરી શકાશે એવો પણ તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો. બજારમાં સ્થિરતા થવા સાથે વધુ ઓફર ફોર સેલ, માઈનોરિટી હિસ્સાનું વેચાણ, થોડાઘણા જાહેર ભરણાં લાવવામાં સરકાર ઝડપ કરશે.










