અમદાવાદ,શુક્રવાર,26
સપ્ટેમબર,2025
અમદાવાદમાં પી.જી. માટે પોલીસ વેરિફિકેશન તથા સોસાયટીનું નો
ઓબ્જેકશન સર્ટિફિકેટ બંને હોવુ ફરજિયાત બનાવાયુ છે. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ
કમિટીએ લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયને પગલે શહેરના વિવિધ વિસ્તારમાં ૩૮૫ પી.જી.
સંચાલકોને કોર્પોરેશન તરફથી એન.ઓ.સી.નહીં હોવાના કારણસર નોટિસ અપાઈ છે.નવા નિયમ
મુજબ જો સંચાલકો આ બંને દસ્તાવેજો રજૂ કરવામા નિષ્ફળ જશે અને નિયમોનો ભંગ થશે તો
કોર્પોરેશન પી.જી.આવાસ ખાલી પણ કરાવી શકશે.
શહેરના નવરંગપુરા ઉપરાંત બોડકદેવ, થલતેજ ,ચાંદખેડા,રાણીપ અને
સાબરમતી સહીત અનેક વોર્ડમાં છેલ્લા ઘણાં
સમયથી પી.જી. ચાલતી હોવાના કારણે જે તે
વિસ્તારમાં આવેલી સોસાયટીના રહીશો અને પી.જી. સંચાલકો વચ્ચે ઉગ્ર મતભેદો સામે
આવ્યાના બનાવ થોડા સમય પહેલાં જ નોંધાયેલા છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ
વોર્ડ વિસ્તારમાં સર્વે કરવાતા ૪૦૧ પી.જી. ચલાવવામા આવી રહયા છે. સ્ટેન્ડિંગ કમિટી
ચેરમેન દેવાંગ દાણીએ કહયુ,
કોર્પોરેશન દ્વારા બનાવવામા આવેલા નવા નિયમ મુજબ હવે દંડ નહીં પરંતુ પી.જી.
દ્વારા નિયમ ભંગ થશે અથવા પોલીસ વેરિફિકેશન કે સોસાયટીની એન.ઓ.સી. રજૂ કરવામા
સંચાલક નિષ્ફળ જશે તો કડક કાયદાકીય કાર્યવાહી કરવામા આવશે. કોર્પોરેશનના સર્વેમાં
પી.જી.ના આઠ મકાન બંધ હાલતમાં જોવા મળ્યા હતા.
અમદાવાદના છેલ્લા એક દાયકામા થયેલા વિકાસ અને શૈક્ષણિક
સવલતોને ધ્યાનમા લઈ શહેર બહારથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નોકરિયાત
વર્ગને સુરક્ષિત રહેઠાણની સુવિધા મળી રહે એ માટેના કોર્પોરેશનનો પ્રયાસ હોવાનુ
મનાઈ રહયુ છે.પોલીસ રજિસ્ટ્રેશન ફરજિયાત
થવાથી પી.જી.માં રહેતા લોકોની માહીતી પોલીસ પાસે ઉપલબ્ધ રહેશે.જે કારણથી સંભવિત
ગુનાહીત પ્રવૃત્તિ ઉપર લગામ કસી શકાશે.સોસાયટીઓની એન.ઓ.સી. ફરજિયાત થવાથી રહેણાંક
વિસ્તારોમાં ટ્રાફિક,પાર્કિંગ
ઉપરાંત અન્ય સામાજિક સમસ્યાઓ ઉભી કરતા પી.જી. ઉપર નિયંત્રણ આવી શકશે. કોર્પોરેશન
દ્વારા નવા નિયમોનુ પાલન કડક રીતે કરાવાશે તો શહેરીજનોને પી.જી.સમસ્યાથી મુકિત
મળશે.
ઝોન વાઈસ પી.જી.હોસ્ટેલને અપાયેલ નોટિસ
ઝોન એકમ નોટિસ
ઉ.પ. ૩૩૫ ૩૩૫
દ.પ. ૨૩ ૨૩
પશ્ચિમ ૪૧ ૨૫
મધ્ય — —
ઉત્તર ૦૧ ૦૧
પૂર્વ ૦૧ ૦૧
દક્ષિણ — —