![]()
Maharashtra Politics News : શિવસેના યુબીટીના પ્રમુખ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જે લોકોએ આ મેચ જોઈ, તે બધા દેશદ્રોહી છે. આ સાથે રાજ્યમાં ભારે પૂર અને ખેડૂતોની મુશ્કેલી મુદ્દે ફડણવીસ સરકાર પર પણ નિશાન સાધ્યું છે.
મેં એક દેશભક્ત તરીકે ભારત-પાકિસ્તાન મેચ જોઈ નથી : ઉદ્ધવ ઠાકરે
પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ કહ્યું કે, ‘મેં એક દેશભક્ત તરીકે તે મેચ નહોતી જોઈ. જે લોકો મેચ જોઈ રહ્યા હતા, તે દેશદ્રોહી છે. માત્ર રમત જોવા સુધી દેશભક્તિ પૂરતી નથી, પરંતુ દેશહિતના મામલાઓમાં જાગૃત રહેવું અને યોગ્ય સમયે સક્રિય થવું એ સાચી દેશભક્તિ છે. ઉલ્લેખનીય છે કે, પહલગામમાં આતંકી હુમલો થયા બાદ ભારતે પાકિસ્તાન સામે આકરી કાર્યવાહીઓ કરવાની સાથે કડક નિર્ણયો લીધા હતા. જોકે એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચનું શેડ્યુલ સામે આવ્યા બાદ વિરોધ શરુ થયો હતો અને વિપક્ષોએ કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું, જેમાં મેચ રદ કરવાની માગ કરી હતી. જોકે કેન્દ્રએ નિયમોનો ઉલ્લેખ કરીને તેમાં હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કર્યો હતો.
ઉદ્ધવ ઠાકરેએ ફડણવીસ સરકાર પર પણ સાધ્યું નિશાન
આ ઉપરાંત ઠાકરેએ ફડણવીસ સરકાર (CM Devendra Fadnavis) પર પણ નિશાન સાધ્યું છે. તેમણે રાજ્યમાં ભારે પૂર અને ખેડૂતોની મુશ્કેલીઓનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે રાજ્ય સરકાર પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે, મહારાષ્ટ્ર ભારે પૂરનો સામનો કરી રહ્યું છે, પરંતુ મુખ્યમંત્રી અને બંને નાયબ મુખ્યમંત્રી પાસે કોઈ સ્પષ્ટ યોજના નથી. તેઓ પોતાની જાહેરાતો કરવામાં અને બ્રાન્ડિંગમાં વ્યસ્ત છે.
આ પણ વાંચો : ‘જે દેશભક્ત હતા, તે યુદ્ધમાં ગયા, જે ગદ્દાર હતા, તે સંઘમાં ગયા’ કોંગ્રેસના RSS પર પ્રહાર
‘રાજ્ય સરકાર રાજકારણ કર્યા વગર ખેડૂતોને મદદ કરે’
તેમણે વધુમાં કહ્યું કે, ‘મેં રાજ્ય સરકારને હાથ જોડીને વિનંતી કરી છે કે કોઈપણ રાજકારણ કર્યા વિના ખેડૂતોને મદદ કરે. જ્યારે ફડણવીસની સરકાર ન હતી અને તેઓ વિપક્ષમાં હતા, ત્યારે તેમણે મારા મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજની માંગણી કરી હતી. તે વખતે મેં કૃષિ લોન માફીની જાહેરાત કરી હતી, શું હવે વર્તમાન મુખ્યમંત્રી આવું કરશે? ઉદ્ધવે માંગ કરી કે, સરકારે ખેડૂતો માટે પ્રતિ હેક્ટર 50000 રૂપિયાની સહાયની જાહેરાત કરવી જોઈએ.
આ પણ વાંચો : VIDEO : ‘હેરાન ન કરો, બચાવી લો…’ 500 કિમી દૂર જેલમાં શિફ્ટ કરાતા અતીક અહમદના પુત્રની CM યોગીને વિનંતી










