![]()
ગાંધીનગર નજીક આવેલા પેથાપુરમાં
યુવાન સૂતો હતો તે જ સમયે ધોકા અને છરી લઈને ત્રણ શખ્સો તૂટી પડયા ઃ પેથાપુર પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા પેથાપુરમાં ફાફડાની લાઈનમાં ઊભા
રહેવા મામલે થયેલી તકરારની અદાવત રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સો ધોકા અને છરી લઈને તૂટી
પડયા હતા. જે ઘટનામાં ગંભીર રીતે ઘાયલ યુવાનને સારવાર માટે સિવિલ ખસેડાયો હતો. આ
અંગે હાલ પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા દોડધામ શરૃ કરી છે.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ
પેથાપુર ગામના અને હાલ રાંધેજા ખાતે રહેતા વૈરાગસિંહ જયંતસિંહ ગોહિતલ દ્વારા
ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે,
તેમનો ભાણો વનરાજસિંહ ઉર્ફે યુવરાજસિંહ કરણસિંહ સોલંકી પેથાપુર ખાતે એકલો રહે
છે. ગત ગુરુવારે રાત્રે વનરાજસિંહ સોલંકી તેના મિત્ર અરુણ વિક્રમભાઈ દંતાણી સાથે
પેથાપુર બસ સ્ટેન્ડ ખાતે એક દુકાને ફાફડા-જલેબી લેવા લાઈનમાં ઊભો હતો. તે સમયે
પેથાપુરમાં રહેતા ગોપાલસિંહ નવુસિંહ બિહોલાએ ધક્કો માર્યો હતો, જેની ના પાડતા
બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. ત્યારે આ બાબતની અદાવત રાખીને ગઈકાલે
સવારના સમયે વનરાજસિંહ ખાટલામાં સુઈ ગયો હતો તે દરમિયાન ગોપાલસિંહ બિહોલા, વિજયસિંહ બિહોલા
અને શંકરસિંહ બિહોલા હાથમાં ધોકા અને ચપ્પુ લઈને આવ્યા હતા. ગોપાલસિંહ બિહોલાએ
વનરાજસિંહને ગઈરાત્રે લાઈનમાં ફાફડા લેવા માટે કેમ બોલાચાલી કરેલ હતી. તેમ કહી
ગાળો બોલી માર મારવાનું શરૃ કર્યું હતું. લાકડાના ધોકાથી માર માર્યો હતો. એટલું જ
નહીં શંકરસિંહ દ્વારા હાથમાં રહેલા ચપ્પા વડે કાન અને કપાળમાં ભાગે ઘસરકા મારવામાં
આવ્યા હતા. જે હુમલાને બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને આ શખ્સો જાનથી મારી
નાખવાની ધમકી આપીને ત્યાંથી નીકળી ગયા હતા. ઘાયલ વનરાજસિંહને સારવાર માટે ૧૦૮
એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસે ત્રણ
શખ્સો સામે ગુનો દાખલ કરીને શોધખોળ શરૃ કરી છે.










