![]()
Vadodara Traffic Police : વડોદરા શહેરના તમામ ક્રોસ રોડ પર અગાઉ 100 મીટરથી દૂર વાહન પાર્ક કરવાનું જાહેરનામું હતું. પરંતુ રોજબરોજ થતા અકસ્માતો નિવારવા અંગે હવેથી તમામ ક્રોસ રોડ પર 30 મીટરમાં વાહન પાર્ક કરવા મનાઈ ફરમાવી છે. નિયમ ભંગ કરનારા વાહન ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. આ અંગે શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ અંગેનો પ્રારંભ આજે ફતેગંજ ચાર રસ્તાથી કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, શહેરના તમામ ક્રોસ રોડ સહિત ત્રણ રસ્તા, ચાર રસ્તા સહિત ક્રોસ રોડ વિસ્તારથી 30 મીટરના એરિયામાં વાહન પાર્ક હવેથી કરી શકાશે નહીં. આ નિયમનો ભંગ કરનાર સામે શહેર ટ્રાફિક અને પોલીસ તંત્ર દ્વારા કાનૂની કાર્યવાહી કરવા અંગે શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડ્યું હોવાનું ડીસીપી ઋષિકેશ ઉપાધ્યાય દ્વારા જણાવાયું છે.
આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં રોજબરોજ નાના મોટા અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. આ અંગે તમામ ક્રોસ રોડ સહિત ચાર રસ્તા, ત્રણ રસ્તાના 100 મીટરના એરિયામાં વાહન પાર્કિંગની મનાઈ પોલીસ તંત્ર દ્વારા ફરમાવાઈ હોવાનું જાહેરનામું અમલમાં હતું. પરંતુ રોજબરોજ છતાં અકસ્માતોને નિવારવાના ભાગરૂપે હવેથી આ નિયમમાં ફેરફાર કરીને તમામ ક્રોસ રોડ, ચાર રસ્તા, ત્રણ રસ્તા વિસ્તારના એરિયામાં માત્ર 30 મીટરના વિસ્તારમાં વાહન પાર્કિંગ કરવા અંગે મનાઈ હુકમ ફરમાવતું જાહેરનામું શહેર પોલીસ કમિશનર દ્વારા ફરમાવ્યું છે. આ નવા નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ જળાશે તેમ જણાવ્યું હતું.
આ નવા નિયમ અંગે શહેર ટ્રાફિક ડીસીપી, એસીપી સહિત પોલીસ ટીમના ધાડા ફતેગંજ ચાર રસ્તા વિસ્તારમાં ઉમટ્યા હતા. આ વિસ્તારની તદ્દન નજીકમાં યુનિવર્સિટી આવેલી છે. ઉપરાંત ખાણીપીણીની લારીઓ દુકાનો પણ છે. જેથી યુવાઓ સહિત લોકો આ વિસ્તારમાં મોડી રાત સુધી આડેધડ પાર્કિંગ કરતા હોય છે. આ ઉપરાંત નજીકમાં આવેલા પેટ્રોલ પંપ આસપાસ પણ ખાણીપીણીની લારીઓ સહિત વાહનચાલકો આડેધડ પાર્કિંગ કરીને બેસી રહે છે. જેથી સ્થાનિક દુકાનદારોને અને ખાણીપીણી લારી ધારકોને પણ આ અંગે સમજ આપીને 30 મીટરના વિસ્તારમાં લારી ગલ્લા નહીં રાખવા સહિત ચાલકોને પોતાના વાહન પાર્ક નહીં કરવા અંગે સૂચન અને સમજ આપવામાં આવી હતી.










