![]()
વડોદરા : શેર બજારમાં રોકાણ કરશો તો ઉંચુ વળતર મળશે તેવી લાલચ આપી
રૃા.૧.૭૮ કરોડની છેતરપિંડી કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મુકતા
ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, આરોપીની
ચાર કંપનીના એકાઉન્ટમાં ટૂંકા ગાળામાં રૃા.૬૫૩ કરોડનું ટર્ન ઓવર થયું છે જે
શંકાસ્પદ છે અને આરોપીએ તે શુ બિઝનેસ કરે છે તેના પણ કોઇ પુરાવા રજૂ નથી કર્યા.
સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી રૃા.૧.૭૮ કરોડની
છેતરપિંડી કેસમાં આરોપી સંદિપ મોહીતની મુંબઇ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી અને
પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપીએ જામીન અરજી મુકતા મુખ્ય સરકારી વકીલ અનિલ
દેસાઇએ રજૂઆત કરી હતી કે, આરોપીએ ફરિયાદીને શેર બજારમાં ઇન્વેસ્ટમાં ઉંચુ
વળતર મળશે તેમ જણાવી માતબર રકમ પડાવી છે. રૃા.૧.૭૮ કરોડની રકમ પૈકી રૃા.૨૭ લાખ
આરોપીના એકાઉન્ટમાં જમા થયા છે.
ફરિયાદીને રોકાણની સામે વેબ સાઇટ પર ૯.૩૦ કરોડનું વળતર મળશે તેમ
દર્શાવવામાં આવતું હતું. તપાસ દરમિયાન આરોપીના વિવિધ બેંક એકાઉન્ટમાં રૃા.૬૫૩ કરોડના
વ્યવહારો થયા છે જે શંકાસ્પદ છે. જે બેંક એકાઉન્ટમાં માતબર રકમના ટ્રાન્ઝેકશન થયા
છે તે બેંક એકાઉન્ટ અંગે તપાસ કરવામાં આવતા એનસીસીઆરપીમાં ત્રણ ફરિયાદો થઇ હોવાનું
જોવા મળ્યું છે. ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ અરજદારની અરજી નામંજૂર
કરી હતી.










